વિવાદિત નિવેદનને પગલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ત્યારે હવે તેમનું લોકસભા સભ્યપદ સંકટમાં આવ્યું છે.
...તો રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ થઇ શકે છે રદ
સુરતની કોર્ટની સજા બાદ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો
રાહુલ ગાંધીએ 2019માં મોદી અટક પર આપ્યું હતું વિવાદીત નિવેદન
માનહાની કેસમાં સુરતની કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. રાહુલ ગાંધીએ 2019માં મોદી અટક પર વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ફરિયાદ ઊઠ્યાં બાદ કોર્ટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજે સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ચૂકાદો આપી રાહુલ ગાંધીને દોષીત ઠેરવી બે વર્ષની સજાની હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા સજાના આ હુકમને પગલે રાહુલ ગાંધીના લોકસભા સદસ્યતા પર પણ સંકટ ઘેરાયું છે.
તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી ન શકવાનો નિણર્ય
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ચાર વર્ષ અગાઉ કરેલા વિવાદિત નિવેદનને પગલે ગુજરાતની સુરત કોર્ટે આજે તેને દોષિત જાહેર કર્યા છે અને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને સજા બાદ જામીન તો આપી દીધા છે પરંતુ બે વર્ષની આ સજાને પગલે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પર લટકતી તલવાર સમાન છે. કારણકે રાહુલ ગાંધીને જો સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેને સભ્યપદ ગુમાવવું પડશે. જાનું પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ જો સંસદ કે ધારાસભ્ય સહિતના પ્રતિનિધિઓને કોઈપણ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવે તો તેમનું સભ્યપદ રદ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત પણ સજાનો સમયગાળો વીતી ગયા છતાં પણ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી.
રાહુલ ગાંધી પાસે આ પદ જાળવી રાખવા આ રસ્તો
માનહાની મામલે જો તંત્ર સુરતની સેશન કોર્ટના નિર્ણયની નકલ લોકસભા સચિવને મોકલે અને ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ તેનો સ્વીકાર કરે તો રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પૂર્ણ થઈ શકે છે. જેના ભાગરૂપે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને છ વર્ષ ચૂંટણી ન લડી શકે એટલે તે હવે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં! હાલ તો રાહુલ ગાંધી પાસે આ પદ જાળવી રાખવા માટે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે પરંતુ તે રાહતને હાઇકોર્ટમાં પડકારી શકે છે અને સુપ્રીમ કોર્ટ જો તેને તે સ્ટે આપે તો તેને સદસ્યતા બચી શકે તેમ છે.