PM મોદી સાથેની બેઠક બાદ CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું, મુખ્યમંત્રીએ કહ્યું, કેન્દ્ર સરકારે 4200 વેન્ટિલેટર ગુજરાતને ફાળવ્યા
PM મોદી સાથેની બેઠક બાદ CM રૂપાણીનું નિવેદન
કેન્દ્ર સરકારે 4200 વેન્ટિલેટર ગુજરાતને ફાળવ્યા
રાજ્યને 80 લાખ જેટલા વેક્સિન ડોઝ ફાળવ્યા
દેશભરમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. CM રૂપાણી પણ આ ચર્ચામાં જોડાયા હતા. PM મોદી સાથેની બેઠક બાદ CM રૂપાણીએ નિવેદન આપ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે 4200 વેન્ટિલેટર ગુજરાતને ફાળવ્યા છે. રાજ્યને 80 લાખ જેટલા વેક્સિન ડોઝ પણ કેન્દ્ર દ્વારા ફાળવ્યા છે.
તો કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું,
આગામી દિવસોમાં RT-PCR ટેસ્ટ તંત્ર વધારાશે.
રોજના 60 હજાર RT-PCR ટેસ્ટ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.
એક સપ્તાહમાં 10 હજાર કોવિડ બેડ ઉપલબ્ધ કર્યા હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કહી છે.
1 હજાર જેટલા ICU બેડ વધાર્યા છે.
શાળાઓ વિશે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે, 30 એપ્રિલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
મહામારીના સમયમાં આજે PM મોદીએ 14મી વખત દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા કોરોનાની બીજી લહેરને કેવી રીતે પહોંચી વળીશું તેના વિશે વિચાર-વિમર્શ કર્યુ હતું. તેમણે રાજ્યોમાં શાસન સ્તર પર ફરી એક વખત સુધાર કરવાની મુખ્યમંત્રીઓને સલાહ આપી હતી.
હાલ લૉકડાઉનની જરૂર નથી : PM મોદી
PM મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક દરમ્યાન કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી. નાઈટ કર્ફ્યૂ જ હાલમાં યોગ્ય છે. નાઈટ કર્ફ્યૂને બદલે હવે કોરોના કર્ફ્યૂ શબ્દનો પ્રયોગ આપણે કરીએ.
PM મોદીએ કહ્યું હતું કે આ બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે. આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે. ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં નાઈટ કર્ફ્યુનો સ્વીકાર કરવામા આવ્યો છે. કોરોનાના અટકાવ માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી છે. પીએમે કહ્યું કે આ વખતે આપણી પાસે કોરોનાની સામે લડવાના તમામ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે. તેમ છતાં પણ ઘણા લોકો બેદરકાર બની રહ્યાં છે.