ગુજરાતમાં ભાવિક ભક્તોને કોરોના સંક્રમણના સમયે ભગવાનને પ્રાર્થના કરવા મળી શકે તેમ છે. 31મી મે ના રોજ લોકડાઉન 4.0નો અંત આવી રહ્યો છે ત્યારે જૂનથી ગુજરાતમાં મંદિરો સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભારત સહિત રાજ્યમાં મંદિરો એને ધાર્મિક સ્થળો છેલ્લા અઢી મહિનાથી બંધ છે. માત્ર મંદિર કે ધાર્મિક સ્થાનના પુજારીઓ સવાર અને સાંજ આરતી કરીને મંદિરને બંધ કરી દેતા હોય છે. કોરોના સંક્રમણ સમયે લોકો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે ઝડપથી આ મહામારીનો અંત આવે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે આજ પ્રમાણે કામગીરી થઇ રહી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ લોકડાઉન બાદ મંદિરો ખોલવાની તૈયારી દર્શાવી છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી શરુ કરાશે. મંદિરમાં તકેદારી જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં ભક્તો ભેગા ન થાય તે માટે અલગ વ્યવસ્થા કરાશે. અને ખાસ મંદિરમાં પ્રસાદી પહેલા સૅનેટાઇઝર આપવામાં આવશે.