તૌકતે વાવાઝોડા બાદ રાજ્યમાં આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણામાં હળવો વરસાદ વરસી શકે છે
ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ પણ વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણામાં હળવો વરસાદ વરસી શકે છે
તૌકતે વાવાઝોડા બાદ રાજ્યમાં 19 મેના દિવસે હવામાન કેવું રહેશે. તેને લઈને પણ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર,જૂનાગઢમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. તો પોરબંદર, મોરબી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, સુરેદ્રનગરમાં પણ વાતાવરણ ચોખ્ખુ હશે. તો જ્યા ગઈકાલથી ભારે વરસાદ જોવા મળ્યો એવા દીવ-દમણ અને નવસારી-વલસાડ અને ભરૂચ તેમજ ડાંગમાં પણ વાતાવરણ ચોખ્ખુ રહેશે. અહીં વરસાદની શકયતા નહીંવત છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણામાં હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ, અમરેલી, આણંદ, ખેડા, મહિસાગરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવો વરસાદ વરસશે.
ગુજરાતમાં દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સૌથી મોટી માહિતી ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણે કુલ 13 મોત થઈ હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં વીજ પૂરવઠો ખોરવાયો
આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. 66kvના 165 સબસ્ટેશન અસરગ્રસ્ત થયેલા હતા. જેમાંથી 68 ફરી શરૂ થઈ ગયા છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાની અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.
ગુજરાતમાં વરસાદના આંકડાઓ
ગુજરાતમાં 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. ગુજરાતના 12 તાલુકામાં 6થી વધુ અને 10 તાલુકા એવા જ્યાં 5 ઈંચથી વધુ વરસાદ છે. તો 96 એવા તાલુકા છે જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.