ગુજરાતની નવી સરકારના શપથવિધિ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને શપથવિધિ સમારોહ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
નવી સરકારની શપથવિધિ સમારોહમાં હાજર રહેશે PM મોદી
શપથવિધિમાં કેન્દ્રિય મંત્રીઓને પ્રદેશ ભાજપે આપ્યું આમંત્રણ
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું છે. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે. તેઓ આગામી 12મી ડિસેમ્બરે ફરી મુખ્યમંત્રી પદનાં શપથ લેશે.
કેન્દ્રીય મંત્રીઓને અપાયું આમંત્રણ
ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે યોજાનારા શપથવિધિ સમારોહ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ શપથવિધિ માટે તૈયાર થઈ રહ્યું છે. .12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
સાથે જ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પરિણામ બાદ નવા મંત્રમંડળ પર મંથન
ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે મંત્રીમંડળની રચના અંગે ભાજપમાં ગતિવધિઓ તેજ થઈ છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.
જાણો કોને-કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
નવા મંત્રી મંડળમાં હર્ષ સંધવી, જગદિશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પૂર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કનુ દેસાઇ, શંભુપ્રસાદ તુંડિયા, રમણલાલ વોરા, ગણપત વસાવા, પીસી બરંડા, મુળુ બેરા, ભગવાન બારડ, સી કે રાઉલજી, કૌશિક વેકરિયા સ્થાન મળી શકે છે.