તુર્કીયે અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં કુલ 24 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
તુર્કીયે અને સીરિયામાં કુદરતી હોનારત
ભૂકંપમાં મૃત્યુઆંક 24 હજારને પાર પહોંચ્યો
56 હજારથી વધુ ઇમારતો થઇ ધરાશાયી
હજુ પણ રેસક્યૂ ટીમો દ્વારા ચાલી રહી છે કામગીરી
હાડ થીજવતી ઠંડી વચ્ચે તુર્કીયે અને સીરિયામાં ભૂકંપ પીડિતોને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. પરંતુ જેમ-જેમ ઈમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, તેમ તેમ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ એક દિવસ પહેલા સુધી મૃતકોનો આંકડો જે 22 હજાર પર હતો, તે હવે વધીને 24 હજારને પાર કરી ગયો છે. અહીં રેસ્ક્યૂ કામગીરી હજુ યથાવત છે.
હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
રેસ્ક્યૂ ઓપરેશનને આગળ વધારતાની સાથે-સાથે મૃતઆંક પણ સતત વધી રહ્યો છે. કેટલાકર નિષ્ણાતોનું માનવું છે કે ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. હાલ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે, 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીયેમાં ભૂકંપ આવ્યો હતો.
મદદ માટે અનેક દેશો આવ્યા આગળ
જે બાદ તુર્કીયે અને સીરિયાની મદદ માટે ઘણા દેશો આગળ આવ્યા છે. ભારતે મેડિકલ ટીમની સાથે NDRFની ટીમો પણ તુર્કીયે મોકલી છે, જ્યારે અન્ય દેશોએ મદદ મોકલી છે. વિશ્વ બેંકે તુર્કીયેને 1.78 અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. તો અમેરિકાએ તુર્કીયે અને સીરિયાની મદદ માટે 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
ભારતે NDRF ટીમ મોકલી, ફિલ્ડ હોસ્પિટલ બનાવી
આ મુશ્કેલ સમયમાં તુર્કીયેની મદદ કરવા આગળ આવી ભારતે 'ઓપરેશન દોસ્ત' નામનું મિશન શરૂ કર્યું છે, જેનો હેતુ ભૂકંપથી પ્રભાવિત તુર્કીયેને મદદ પૂરી પાડવાનો છે. બચાવ કામગીરી માટે ભારતે NDRFની 3 ટીમો તુર્કીયે મોકલી છે. આ સાથે જ ભારતીય સેનાની મેડિકલ ટીમ પણ હાલમાં તુર્કીયેમાં છે. ભારતીય સેનાએ હતાયે શહેરમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.
તુર્કીયેમાં 1-2 નહીં ભૂકંપના 5 આંચકા આવ્યા
તુર્કીયેમાં ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીની સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીયેમાં ગાઝિયાંટેપ હતું. થોડીવાર બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ દૌર અહીં જ અટક્યો નહીં. આ પછી 6.5ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગ્યે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.