અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટેએ ચુકાદો આપ્યો છે જેમાં વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માનવામાં આવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી રામ મંદિરનો રસ્તો સાફ થઇ ગયો છે અને કોર્ટેએ કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવાનો હુકમ આપ્યો છે. આ ચુકાદા પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા મંદિરના નિર્માણનો નારો આપ્યો છે.
શિવસેના નેતા સંજય રાઉતે રામ મંદિર પર ચુકાદો આવ્યા બાદ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં સંજય રાઉતે લખ્યું છે કે, 'પહેલા રામ મંદિર પછી સરકાર!!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર...જય શ્રીરામ !!!
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનમાં તૂટ !
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું જોડાણ તૂટી પડવાની આરે છે, જેને લઇને ૨૪ ઓક્ટોબરે ચુંટણી પરિણામ આવ્યાં બાદ પણ હજુ સુધી સરકાર બનાવી નથી. અત્યારે શિવસેનાએ સરકાર ગઠનને લઇને લડતને નવો વળાંક આપ્યો છે અને કહ્યું છે કે પહેલા રામ મંદિર અને પછી મહારાષ્ટ્રમાં સરકાર બનશે.
રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું છે ?
સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર ચુકાદો આપતા કહ્યું કે વિવાદિત જમીન પર મુસ્લિમ પક્ષ તેમનો હક સાબિત નથી કરી શક્યા. આમ સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામ લલાનો હક માન્યો છે અને કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવવાનો હુકમ આપ્યો છે. જે રામ મંદિર નિર્માણથી લઈને બીજા બધા કામ પર નજર રાખશે. જયારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં બીજી જગ્યા પર મસ્જીદ નિર્માણ માટે ૫ એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.