પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડીનાં ખુલાસા બાદ ભારતનાં પૂર્વ ક્રિકેટરે પણ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી કનેરિયાએ આરોપ લગાવ્યા કે તેની સાથે પાકિસ્તાનનાં ખેલાડી ભેદભાવ કરતા હતા જે બાદ ફાસ્ટ બોલર શોએબે સ્વીકાર્યું કે કનેરિયા સાથે ખેલાડીઓ જમતા પણ ન હતા.
પાકિસ્તાનનાં ખેલાડીએ કરેલાં ખુલાસા બાદ ગૌતમ ગંભીરે સાધ્યું નિશાન
ફાસ્ટ બોલર શોએબે પણ કનેરિયાનો સાથ આપ્યો
પાકિસ્તાન માટે રમતી વખતે કનેરિયાએ 61 ટેસ્ટમાં 261 વિકેટ લીધી હતી
ગૌતમ ગંભીરે પાકિસ્તાન પર આરોપ લગાવ્યાં
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પાકિસ્તાન ટીમના પૂર્વ ખેલાડી દાનીશ કનેરિયાને લઈને પાકિસ્તાન પર આરોપ લગાવ્યાં છે. ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હિંદુ હોવાના કારણે ખરાબ વર્તન સહન કરનાર પાકિસ્તાની ક્રિકેટર દાનીશ કનેરિયાએ પોતાના નિવેદનથી પાકિસ્તાનનો અસલી ચહેરો જાહેર કરી દીધો છે.
આ તે દેશમાં થઇ રહ્યું છે જે દેશમાં વર્તમાન વડાપ્રધાન ક્રિકેટર હતા : ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે 'ભારતમાં મોહમ્મદ અઝરૂદ્દિન જેવા કેપ્ટન રહ્યા અને લાંબા સમય સુધી કેપ્ટન રહ્યા. કનેરિયા સાથે જે કંઈ પણ થયું શરમજનક છે. આ તે દેશમાં થઇ રહ્યું છે જે દેશમાં વર્તમાન વડાપ્રધાન ક્રિકેટર હતા. કનેરિયાએ પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમી આમ છતાં લાંબા સમય સુધી આ બધું સહન કરવું પડ્યું તે શરમજનક છે.' પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કરતાં કહ્યું કે 'કનેરિયા સાથે ઘણા ખેલાડી જમતા પણ ન હતા કારણ કે તે હિંદુ હતો આ સિવાય કનેરિયા સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો.'
કનેરિયાનાં મામા અનીલ દલપત પણ પાકિસ્તાન માટે ક્રિકેટ રમતા હતા
જે બાદ કનેરિયાએ કહ્યું કે 'શોએબ ભાઈ મહાન ખેલાડી છે. જ્યારે હું રમતો હતો ત્યારે મારામાં હિંમત ન હતી પરંતુ હવે શોએબ ભાઈનાં નિવેદનથી આવી ગઈ છે. જેમણે મારો સાથ ન આપ્યો હું જલ્દી જ તે લોકોનાં નામ જાહેર કરીશ.' ઉલ્લેખનીય છે કે કનેરિયાનાં મામા અનીલ દલપત પણ પાકિસ્તાન માટે ક્રિકેટ રમતા હતા. પાકિસ્તાન માટે રમતી વખતે કનેરિયાએ 61 ટેસ્ટમાં 261 વિકેટ લીધી હતી.