નરેશ પટેલ બાદ કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મામલે મોટા સમાચાર
નરેશ પટેલ-કુંવરજી બાવળીયા વચ્ચે બેઠક મળી હોવાની ચર્ચા
નરેશ પટેલ બાદ કુંવરજી બાવળિયા જોડાઈ શકે છે કોંગ્રેસમાં
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચવાનું શરૂ થયું છે. કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામની જાહેરાત કરી શકે તો ગુજરાતના કોળી સમાજના આગેવાન અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફરી કરી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 85 લાખ લેઉવા પાટીદારો અને 74 લાખ કોળી મતદારો છે.
નરેશ પટેલ-કુંવરજી બાવળીયા વચ્ચે બેઠક મળી હોવાની ચર્ચા
સૂત્રોના અહેવાલ મુજબ, નરેશભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે એકાદ મહિના પહેલાં બંધ બારણે મિટિંગ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં નરેશભાઈએ કુંવરજીભાઈ સમક્ષ કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલી ઓફર તેમની સમક્ષ મૂકી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોના મુજબ, નરેશ પટેલની કોંગ્રેસ સાથે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે.
પાટીદાર અને કોળી સમાજની જ્ઞાતિ આધારે વોટ બેન્ક કબ્જે કરવાની કોંગ્રેસની તૈયારી
બીજી તરફ કોળી જ્ઞાતિની પણ મોટી વોટ બેન્ક છે. એ કબજે કરવા કોંગ્રેસ પાર્ટી કોળી સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપી રહી છે અને તેમાં કુંવરજી બાવળિયાનું નામ મોખરે છે. અહેવાલ એવા પણ છે કે રાહુલ ગાંધી આવતા મહિને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમની હાજરીમાં નરેશ પટેલ જોડાય તેવી વાત છે અને સાથે એવું પણ બની શકે કે કુંવરજી બાવળિયા પણ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે.
કોળી જ્ઞાતિનું ક્યાં કેટલું પ્રભુત્વ
ગુજરાતમાં પાટીદાર વોટબેન્ક સૌથી પ્રભાવશાળી મનાય છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.