પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તિહાડ જેલમાં મુલાકાત બાદ એક મોટુ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે જે પ્રસ્તાવને મંજૂરી આપનાર અધિકારી દોષિત નથી તો પછી પી ચિદમ્બરમ પર નાણામંત્રી તરીકે ગૂનો કરવાનો આરોપ કેવી રીતે લગાવી શકાય છે.
મનમોહન સિંહે તિહાડ આપ્યું મોટું નિવેદન
તિહાડ જેલમાં પહોંચી ચિદમ્બરમની મુલાકાત લીધી
મનમોહન સિંહે ચિદમ્બરમ સામેના આરોપ પર ઉઠાવ્યા પ્રશ્નો
એમણે વધુમાં જણાવ્યું કે, જો એક મંત્રીને જ કોઇ ભલામણની મંજૂરી આપવા માટે જવાબદાર ઠેરાવાશે તો સંપુર્ણ સરકારી પ્રણાલી ધ્વસ્ત થઇ જશે. મનમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સોમવારે તિહાડ જેલમાં પહોંચી ચિદમ્બરમની મુલાકાત લીધી હતી અને તેમના પ્રત્યે એકજુટતા પ્રકટ કરી હતી. આઇએનએક્સ મીડિયા મામલામાં ધરપકડ કરાયેલા પી ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં બંધ છે.
આ મુલાકાત બાદ મનમોહન સિંહે કહ્યું કે, અમે અમારા સહયોગી પી ચિદમ્બરમની કસ્ટડીથી ચિંતિત છીએ. આપણી સરકારી પ્રણાલીમાં કોઇપણ નિર્ણય કોઇ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવી શકે નહીં, તમામ નિર્ણય સામૂહિક નિર્ણય હોય છે. જેને ફાઇલોમાં નોંધવામાં આવે છે. કેન્દ્ર સરકારના 6 સચિવો સહિત અધિકારીઓએ પ્રસ્તાવની તપાસ કર્યા બાદ જ પોતાની ભલામણ આપી હતી.
ચિદમ્બરમે મંત્રી તરીકે સર્વસમ્મતિથી કરવામાં આવેલી ભલામણોને પોતાની મંજૂરી આપી હતી. પૂર્વ વડાપ્રધાને સવાલ કર્યો હતો કે જો અધિકારીઓની કોઇ ભૂલ નથી, તો પ્રશ્ન ઉભો થાય છે કે જેણે સર્વસમ્મતિ પ્રાપ્ત ભલામણને પોતાની માત્ર મંજૂરી આપી હતી, એમના પર ગૂનો કરવાનો આરોપ કેવી રીતે લગાવી શકાય છે? મનમોહન સિંહે કહ્યું કે, અમને પૂર્ણ વિશ્વાસ અને આશા છે કે કોર્ટ આ મામલામાં ન્યાય કરશે.