ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ઓડિશાના ત્રણ જિલ્લાઓમાં સોનાના ભંડારના સંકેત મળ્યા
ઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના સંકેત
દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારના સંકેત મળ્યા
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં પણ મળ્યો છે લિથિયમનો ભંડાર
ઓડિશામાં સર્વેમાં સોનાનો ભંડાર હોવાના સંકેત મળી રહ્યા છે. ઓડિશામાં ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે સોમવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેની કુલ ક્ષમતા 59 લાખ ટન છે. આ શોધ બાદ ભારત ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી લિથિયમ આયનનો ભંડાર ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે.
ઓડિશા વિધાનસભામાં BJPના વિધાનસભ્ય સુધીર સમા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે જવાબ આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ત્રણ જિલ્લાઓ દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડારના સંકેત મળ્યા છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, અનેક વિસ્તારોમાં સોનાનો ભંડાર હોવાની સંભાવના છે. આ વિસ્તારોમાં કેઓંઝાર જિલ્લાના દિમિરીમુંડા, કુશકલા, ગોટીપુર અને ગોપુર, મયુરભંજ જિલ્લામાં જોશીપુર, સુરિયાગુડા, રુઆન્સિલા અને ધુશુરા ટેકરીઓ અને દેવગઢ જિલ્લામાં અડાસનો સમાવેશ થાય છે.
જીએસઆઈ દ્વારા સર્વે કરાયો અને..... .
આ વિસ્તારોમાં પ્રથમ સર્વેક્ષણો 1970 અને 80ના દાયકામાં ખાણ અને ભૂસ્તર નિયામકની કચેરી અને GSI દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તારણો જાહેર કરવામાં આવ્યા ન હતા. મંત્રીએ કહ્યું કે, જીએસઆઈ દ્વારા છેલ્લા બે વર્ષમાં ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં પણ મળ્યો છે લિથિયમનો ભંડાર
જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેની કુલ ક્ષમતા 59 લાખ ટન છે. આ શોધ બાદ ભારત ચિલી અને ઓસ્ટ્રેલિયા પછી લિથિયમ આયનનો ભંડાર ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. હાલમાં, ભારત આ દુર્લભ પૃથ્વી તત્વ માટે અન્ય દેશો પર નિર્ભર છે, પરંતુ ટૂંક સમયમાં અનામત મેળવ્યા પછી, આપણે આત્મનિર્ભર બની શકીશું.