પૂર્વ રાષ્ટ્રપતિને નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો, કોવિંદે કહ્યું પત્રમાં મારા માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તે મારા પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર દર્શાવે છે
રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ ભાવુક થયા રામનાથ કોવિંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદને લખ્યો હતો પત્ર
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની વિદાય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને લખેલા પત્ર પર તેમનો આભાર વ્યક્ત કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, પીએમ મોદીના પત્રમાં તેમના માટે લખવામાં આવેલા શબ્દોએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના પત્રમાં મારા માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મારા પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર દર્શાવે છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ બધા માટે હું દરેકનો આભાર માનું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો હતો પત્ર
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક પત્ર લખ્યો હતો. જેમાં પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમ્યાન તેમના કામની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રામનાથ કોવિંદને પત્રમાં લખ્યું છે કે, દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે અને નાના ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની તમારી યાત્રા આપણા બધા માટે પ્રેરણા સમાન છે.
હંમેશા સમાજના પછાત લોકોના ઉત્થાન માટે પગલાં લીધાં: વડાપ્રધાન
પીએમ મોદીએ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં આગળ લખ્યું છે કે, રાષ્ટ્રપતિ તરીકે દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળવા છતાં તમે હંમેશા સમાજના પછાત લોકોના ઉત્થાન માટે પગલાં લીધાં, જે સાબિત કરે છે કે તમે સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો માટે કેટલા સંવેદનશીલ છો.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થયો હતો. જે બાદમાં દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે.