રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે વકરતો રોગચાળો.સુરતના સાયણ અને બનાસકાંઠામાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સક્રિય.
ઓલપાડના સાયણમાં વધ્યો રોગચાળો
બનાસ કાંઠામાં પણ આવી જ સ્થિતિ
આરોગ્ય વિભાગ અત્યારથી સતર્ક રહે તે જરૂરી
રાજ્યના કેટલાય વિસ્તારોમાં પાછોતરો વરસાદ માઝા મૂકી રહ્યો હોય તેમ કહેર વર્તાવી રહ્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલામાં ખેતીની તારાજી કરી ચુકેલા વરસાદ માટે આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.ત્યારે જ સુરતના ઓલપાડ વિસ્તારનાં ગ્રામીણ એરીયામાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળાના પરિણામે એક જ દિવસમાં 100 જેટલા ઝાડા-ઉલટીનાં કેસ સામે આવ્યા છે.અને મહાનગર પાલિકાનું તંત્ર પણ સફાળું ચોંકી ઉઠ્યું છે.
આરોગ્યની કામગીરી શરુ
સાયણ ગામના આદર્શનગર વિભાગ-1,2,3માં સતત કેસ વધી રહ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગની ટીમે કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ OPD શરૂ કરી દીધી છે. અને આશાવર્કર બહેનો દ્વારા ડોર ટૂ ડોર તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પંચાયત દ્વારા સાફસફાઇની કામગીરી શરૂ કરાઇ છે. હજુ પણ એક સપ્તાહ વરસાદની આગાહી છે ત્યારે, સુરત જિલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીજન્ય-મચ્છર જન્ય રોગચાળો વકરે તે પહેલા જરૂરી પગલાઓ લેવા આવશ્યક હોવાનું ગ્રામજનો માની રહ્યા છે. સાયણમાં ઝાડા-ઉલટી સાથે તાવનો વાવર પણ ફેલાયો છે. પરિણામે આરોગ્ય ખાતું ઘડિયા પગલાં લઇ, રાહત આપવાના પ્રયાસમાં જોતરાઈ ગયું છે.
બનાસકાંઠામાં પણ આ જ સ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.પાલનપુર,ડીસામાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.સ્થિતિની ગંભીરતાને જોઈને જિલ્લા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.રહેણાંક વિસ્તારો,સરકારી ઓફિસો,કોમર્શિયલ સહિત તમામ જગ્યાએ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તથા આ અંગે બેદરકારી દાખવનારને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે.આ કામગીરી કરવા માટે તંત્ર દ્વારા રેકટર કંટ્રોલ મેમ્બરની પણ કરાર આધારિત ભરતી કરવામાં આવી છે.
તહેવારોમાં જરૂરી તકેદારી
ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં રોગચાળો વકરે તેવી સ્થતિ સર્જાઈ છે. હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે .ત્યાર બાદ જે રીતે ભાદરવાનો તડકો પડશે આ દરમિયાન નવરાત્રી-દીપાવલી જેવા તહેવારોમાં રોગચાળો માથું ના ઉચકે તેની જવાબદારી સ્થાનિક આરોગ્ય વિભાગે,અત્યારથી જ સમજીને કામે લાગી જવું પડશે. જો કે ,સરકાર આવી સ્થિતિથી વાકેફ હોય આરોગ્ય વિભાગ સુચારુ પગલાં માટે વ્યવસ્થા કરી જ રહી છે.