તમે ભારતીય રેલ્વે સંબંધિત ઘણા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં રેલ્વે કર્મચારીઓ માનવતાના કારણે કોઈપણ હદ સુધી જાય છે. આવું જ કંઈક ઝારખંડમાં થયું, જેને સાંભળીને તમે ચોંકી જશો.
મહિલા અને બાળકનો જીવ બચાવવા માટે લેવાયો મોટો નિર્ણય
લગભગ અઢી-ત્રણ કિલોમીટર વિરુદ્ધ દિશામાં દોડાવી ટ્રેન
મુસાફરોએ કરી હતી રેલવે અધિકારીઓના નિર્ણયની પ્રશંસા
ભારતીય રેલ્વેએ મહિલા અને તેના નવજાત બાળકનો જીવ બચાવવા માટે એક્સપ્રેસ ટ્રેનને વિરુદ્ધ દિશામાં દોડાવી હતી. રેલ્વે અધિકારીઓના આ નિર્ણયની ટ્રેનમાં હાજર મુસાફરોએ ખૂબ પ્રશંસા કરી હતી.
વિરુદ્ધ દિશામાં ચાલી ટ્રેન
માહિતી અનુસાર, મંગળવારે રાત્રે ટાટાનગરથી ભુવનેશ્વર જવા માટે રવાના થયેલી આનંદ વિહાર-ભુવનેશ્વર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં એક મહિલાની ડિલિવરી થયા બાદ ટ્રેનને વિરુદ્ધ દિશામાં ચલાવવી પડી હતી. ટ્રેન લગભગ અઢી કિલોમીટર પાછી ફર્યા બાદ ટાટાનગર રેલવે સ્ટેશન પર મેડિકલ ટીમે મહિલા અને નવજાત બાળકને ઉતાર્યા હતા અને પ્રાથમિક તપાસ બાદ તેમને ખાસમહાલની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેલવે અધિકારીએ જણાવ્યું કે હવે મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. ચાલતી ટ્રેનમાં બાળકને જન્મ આપનાર મહિલાનું નામ રાનુ દાસ જણાવવામાં આવી રહ્યું છે.
ટાટાનગર સ્ટેશનને મળી હતી સૂચના
રેલવે અધિકારીએ જણાવ્યું કે મહિલા ટ્રેનના કોચ નંબર-5માં મુસાફરી કરી રહી હતી. તેઓને ઓરિસ્સાના જલેશ્વર ખાતે ઉતરવાના હતા. મોડી સાંજે ટાટાનગર સ્ટેશનેથી ટ્રેન આગળ વધી હતી કે ચાલતી ટ્રેનમાં મહિલાની ડિલિવરી અને બાળકને જન્મ આપવાની સૂચના ટાટાનગર સ્ટેશનને આપવામાં આવી હતી. ત્યાં સુધીમાં ટ્રેન લગભગ અઢી કિલોમીટર આગળ વધી ગઈ હતી.
સ્ટેશન પર બોલાવવામાં આવી મેડિકલ ટીમ
સૂચના મળ્યા બાદ, ટ્રેનને ટાટાનગર સ્ટેશન પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કારણ કે ટ્રેનનું નેક્સ્ટ સ્ટોપ હિજલી હતું, જ્યાં પહોંચવામાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગતો અને આ દરમિયાન તેમનો જીવ જોખમમાં આવી શકતો હતો. જોકે, ટાટાનગર રેલવે સ્ટેશનના અધિકારીઓએ સ્થાનિક રેલવે હોસ્પિટલને જાણ કરી હતી અને મેડિકલ ટીમને સ્ટેશન પર બોલાવી હતી. આ સિવાય ટ્રેન લગભગ અઢી-ત્રણ કિલોમીટર વિરુદ્ધ દિશામાં દોડાવી હતી.
મુસાફરોએ કરી હતી રેલવે અધિકારીઓની પ્રશંસા
ટાટાનગર સ્ટેશન પર મેડિકલ ટીમ દ્વારા મહિલા અને તેના બાળકને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં બંનેના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ખાસમહાલ સ્થિત સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી ટ્રેન ભુવનેશ્વર માટે પરત રવાના થઈ હતી. ટ્રેનમાં સવાર મુસાફરોએ રેલવે અધિકારીઓની સંવેદનશીલતા અને આ નિર્ણયની પ્રશંસા કરી હતી.