જ્યારે સમગ્ર વિશ્વ 20મી સદી તરફથી 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યું હતું ત્યારે ભારતનું નામ દુનિયામાં ચર્ચાયું. કારણ કે ચાર ઘટના એવી ઘટી જેણે ભારતને પીડા પણ આપી અને સાહસની શક્તિ પણ અર્પી. સરકારે પોખરણ પરિક્ષણ જેવા આકરા નિર્ણય લીધા. તો આતંકી આફત પણ આ સમય દરમિયાન દેશે સહન કરી પરંતુ વિપક્ષ હોય કે સામાન્ય જનતા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સામે વિરોધની એક આંગળી પણ ઉભી ન થઇ.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1998માં ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ માટે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 2004 સુધી ચાલ્યો પરંતુ આ પાંચ વર્ષનો સમયગાળો દેશ ક્યારેય નહી ભૂલે. તે સમયે નવી બનેલી વાજપેયી સરકારે પોખરણમાં પરમાણુ પરિક્ષણને લીલી ઝંડી આપી દીધી હતી.
ભારતના વૈજ્ઞાનિકોએ સફળ રીતે પરમાણુ પરિક્ષણ કર્યા. એટલે વિશ્વ એવું અંજાઇ ગયું કે ન પુછો વાત. મામલો પરમાણુ પરિક્ષણનો હતો એટલે જાપાન અને અમેરિકા સહિતના સહિતના દેશોએ ભારત પર પ્રતિબંધ લગાવી દિધા. પરમાણુ પરિક્ષણના કારણે પાકિસ્તાન હતપ્રત તો થઇ ગયું પરંતુ આતંકી આફત ન આથમી.
24 ડિસેમ્બર 1999ના રોજ નેપાળના કાઠમાંડુથી દિલ્લી માટે વિમાને ઉડાન ભરી પરંતુ જૈશએ મોહમ્મદના આતંકીઓએ વિમાનનું અપહરણ કરી લીધું. વિમાનમાં 176 યાત્રી અને 15 ક્રુ મેમ્બર હતા. નાગરિકોની જિંદગી બચાવવા માટે મસુદ અઝહર સહિતના આતંકીઓને છોડવા પડ્યા.
આતંકીઓ આટલેથી જ શાંત ન રહ્યા. ઓક્ટોબર 2001માં જૈશ એ મોહમ્મદે પોતાની ક્રુરતા બતાવી. જમ્મુ કશ્મીર વિધાનસભા પર બોમ્બ બ્લાસ્ટ કર્યા. જેમાં 38 લોકોના મોત થયા તો 60ને ઇજા પહોંચી. કશ્મીર માટે સતત અગ્રેસર રહેવાની વાત કરનારા તત્કાલીન પ્રધાનમંત્રી વાજપેયી માટે આ મોટો ઝટકો હતો.
શ્રીનગર હુમલાના ઘા હજુ રૂઝાયા ન હતા. ત્યાતો ડિસેમ્બર 2001માં ભારતની સંસદ પર આતંકીઓએ હુમલો કરી દિધો. આ ઘટનામાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે 18 લોકોને ઇજા પહોંચી હતી. લશ્કર એ તૈયબા અને જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી લીધા તો અફઝલ ગુરુ જેવા આતંકીની જીવતા પુરાવા તરીકે ધરપકડ થઇ.
આ ચારેય ઘટના અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં બની હતી પરંતુ વિપક્ષ હોય કે સામાન્ય જનતા તમામ લોકો સામે અટલ બિહારી વાજપેયીએ ગળે ઉતરે તેવા જવાબ આપ્યા. એટલે તેમના પર કોઇ દાગ તો ન લાગ્યો પરંતુ લોકોનો ભરોસો તેમના પર અકબંધ રહ્યો. આવા હતા અટલ બિહારી વાજપેયી.