આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓ સાથે મેરાથોન બેઠકો યોજી હતી, જે બાદ વ્યાજબી માંગો પર સહમતી સધાઈ
આશા વર્કર બહેનોની માંગ સરકારની સહમતિ
તેમનો વ્યાપ તેમની માંગ અંગે અમે નિર્ણય કર્યો: જીતુ વાઘાણી
તેમના હિતમાં સરકાર કામ કરી રહી છે: જીતુ વાઘાણી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગરમાં નાના મોટા 18 જેટલા આંદોલનોનો રાફડો ફાટ્યો છે. જેમાં આજે બુધવારના દિવસ ગુજરાત સરકારને ફળ્યો છે. સવારથી જ એક બાદ એક પ્રશ્નો સોલ્વ કરી 4 આંદોલનની આગ શાંત પાડવામાં સરકારને સફળતા મળી છે. ST કર્મી અને આરોગ્ય કર્મીઓ, વનરક્ષક બાદ આશા વર્કર મહિલાઓનું વધુ એક આંદોલન સમેટાયું છે.
જીતુ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવા લાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય માંગણીઓ શું હતી?
( 1 ) આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો માટે વર્ગ ચાર નું રેગ્યુલર મહેકમ ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે.
( 2 ) ઈન્સેન્ટિવ જેવી શોષણ કરી પ્રથા બંધ કરીને આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો ને સાતમાં પગારપંચ મુજબ લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવે.
( 3 ) પ્રસૂતિના સમયગાળા દરમિયાન આશાવર્કર આશા ફેસિલિટેટર બહેનોને તેમજ માનદ વેતન , ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા માં કામ કરતી હજારો મહિલાઓ ને અન્ય સરકારી મહિલા કર્મચારીની જેમ 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે.
(4) 45 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવનાર આશાવર્કર તેમ જ આશા ફેસિલિટેટર બહેનોને પણ પેન્શન યોજનામાં સમાવવામાં આવે.
( 5 ) આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને એમની કામગીરી , અભ્યાસ અને અનુભવના આધારે એફ.એચ .ડબલ્યુ તરીકેનું પ્રમોશન આપવામાં આવે.
( 6 ) સંસ્થાકીય સુવાવડના કિસ્સામાં એ . પી . એલ અને બી . પી . એલ નો ભેદ દૂર કરી તમામ સગર્ભા એ.એન.સી નું મહેનતાણું ચૂકવવામાં આવે.
( 7 ) દર વર્ષે વિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટમાં આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવામાં આવે.
( 8 ) દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સાડીઓ આપવામાં આવે.
( 9 ) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવે . તેમજ આરોગ્યનો વીમો આપવામાં આવે.
( 10 ) કામના કલાકો નક્કી કરવામાં આવે .
વનરક્ષકની 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી: જીતુ વાઘાણી
મહત્વનું છે કે સરકારના જણાવ્યા મુજબ વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. વાઘાણીએ વધુમાં કહ્યું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે. ગુજરાતની જનતા રાજકીય હાથા બને એમ નથી.
વન રક્ષક મંડળ પ્રમુખ પ્રવીણ સિંહ ચૌહાણનું નિવેદન
વનપાલ આંદોલનના મામલે વનકર્મી પ્રવીણ સિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેઓના જણાવ્યા મુજબ માંગણીઓ મુખ્ય 14 હતી તેમાંથી 11 ક્લિયર કરવામાં આવી છે. તમામ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે એવું લાગ્યું અમારી માંગ વ્યાજબી છે. વન વિભાગના કર્મચારીઓને 24 કલાક ડ્યુટી હોય છે છતાં રજા પગાર આપવામાં આવતો નહતો, સરકારે સારું વલણ અપનાવી અમારી માંગ સ્વીકારી છે. વોશિંગ એલાઉન્સ તરીકે સરકારે ભથ્થું આપવાનું નક્કી કર્યું છે.
ST નિગમના કર્મચારીઓની 14માંથી 11 માંગ સ્વીકારી લીધી
મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.
ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂ. 2 હજાર 500નો વધારો: કે.ડી. દેસાઈ
રાજ્ય સરકારે આજે ST નિગમના કર્મચારીઓની 14 માંગમાંથી 11 માંગો સ્વીકારી લીધી છે. ST કર્મચારીઓના 11 જેટલા પ્રશ્નોનું આજે નિરાકરણ આવી ગયું છે ત્યારે પ્રશ્નોના નિરાકરણ મુદ્દે GSRTCના અધિકારી કે.ડી. દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે, 'વાહન વ્યવહારમંત્રીએ મોડી રાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરાયું. બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવતા નિર્ણય લેવાયા કે, ગ્રેડ-પેનો એરિયર્સ એક જ સપ્તાહમાં ચૂકવાશે. 16 કરોડ જેટલું એરિયર્સ ચૂકવાશે. 3 ટકા DA 1 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. દરેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો. ફિક્સ પેના કર્મચારીઓમાં પણ વધારો કરાયો છે. હેલ્પર અને RTને રૂ. 1000નો વધારો કરાયો. ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂપિયા 2 હજાર 500નો વધારો કરાયો. આથી, ST વિભાગના 38 હજાર કર્મચારીઓને ફાયદો થશે.'બેઠક બાદ બાકી રહેતું એરિયર્સ 11 % મોંઘવારી ભથ્થા સાથે 3 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર સુધી, જ્યારે બીજો હપ્તો 14 જાન્યુઆરી સુધી અને ત્રીજો હપ્તો 25 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે.'