રાજનીતિમાં સતત સફળતાનાં શિખરો પર બિરાજમાન થવું એ કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા માટે શક્ય નથી જ, પરંતુ લોકપ્રિયતાનો ગ્રાફ એકાએક નીચો જવા લાગે એ આકરો ઝટકો ગણાય છે. ભાજપ સાથે કંઈક આવું જ બની રહ્યું છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આમ તો ભાજપ માટે ખાસ ચોંકાવનારાં નહોતાં જ પણ વધુ એક રાજ્ય હાથમાંથી સરકી જવાનું આ નુકસાન ભવિષ્યમાં બહુ હાનિકારક સાબિત થઈ શકે છે.
ભાજપના મોવડીમંડળે આત્મમંથન કરીને આગામી પડકારો માટે મજબૂત અને અસરકારક રણનીતિ ઘડી કાઢવી પડશે
બિહારમાં સૌથી મોટો પડકાર નીતીશકુમારના જેડી (યુ) સાથે ગઠબંધન ટકાવી રાખવાનો
ભાજપ ‘અજેય’ પક્ષ છે અને તેને હરાવવો લગભગ અશક્ય છે તે ધારણા હવે નબળી પડતી જાય છે
ખાસ કરીને વર્ષ ર૦ર૦ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં દિલ્હી અને ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના મોવડીમંડળે આત્મમંથન કરીને આગામી પડકારો માટે મજબૂત અને અસરકારક રણનીતિ ઘડી કાઢવી પડશે, નહીં તો જેને સાવ નબળો સમજવામાં આવે છે તે વિપક્ષ ગમે ત્યારે હાવી થઈ જશે.
દિલ્હીની વાત કરીએ તો ત્યાં અરવિંદ કેજરીવાલ સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે અનેક પ્રજાલક્ષી કામ કરીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ જે સપાટો બોલાવ્યો હતો તે હજુ ભાજપ અને કોંગ્રેસ બંનેને સારી રીતે યાદ છે. દિલ્હીમાં ભાજપ લગભગ ર૦ વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહ્યો છે અને સત્તા તેનાથી દૂર જ રહી છે. ફેબ્રુઆરી- ર૦૧પમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’એ ૭૦માંથી ૬૭ બેઠકો જીતી લીધી હતી અને ભાજપના ભાગે ફક્ત ત્રણ બેઠક આવી હતી.
બિહારમાં હાલ ભલે ભાજપ-જનતાદળ (યુનાઈટેડ)ની ગઠબંધન સરકાર સત્તારૂઢ હોય, પરંતુ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ની તૈયારીઓ જોતાં બિહારનો જંગ પણ ખૂબ રસપ્રદ બની રહેવાનો તે નક્કી છે. બિહારમાં સૌથી મોટો પડકાર નીતીશકુમારના જેડી (યુ) સાથે ગઠબંધન ટકાવી રાખવાનો પણ છે. બિહારની પેટાચૂંટણીઓનાં પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે આ વખતે ભાજપ-જેડી (યુ)ના ગઠબંધનની રાહ સરળ તો નથી જ રહેવાની.
ભાજપ સામેના અસલી પડકારો આમ તો ર૦ર૧માં શરૂ થશે. આ વર્ષે આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં મહત્ત્વનાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ના મુદ્દે આસામ અને પશ્ચિમ બંગાળમાં જે ઉગ્ર વિરોધ થયો તેનાથી ભાજપ પહેલાંથી જ બેકફૂટ પર ધકેલાઈ ગયો છે. આ તમામ મુદ્દે સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતીને તેમને વફાદાર મતદારમાં પરિવર્તિત કરવાનો પડકાર સામાન્ય નથી.
ઝારખંડની કારમી હાર બાદ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપનું શાસન દેશના માત્ર ૩પ ટકા ભાગ સુધી સમેટાઈ ગયું છે, જ્યારે ર૦૧૭માં દેશના ૭૧ ટકા વિસ્તાર પર તેમનો કબજો હતો. આ વર્ષે ભાજપે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવી છે. દરેક રાજ્યમાં હારનાં અને સત્તા ગુમાવવાનાં કારણો અને પરિબળો ભલે અલગ-અલગ હોય પણ ક્યાંક ને ક્યાંક ભાજપની વ્યૂહરચના અને રણનીતિ તેની ધાર ગુમાવતાં જાય છે એ વાત સ્વીકારવી રહી.
આપણા દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીને અસર કરતા મુદ્દાઓ હંમેશાં અલગ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે જોરદાર અસરકારક લાગતા નિર્ણયો કે મુદ્દાઓ ક્યારેક વિધાનસભા ચૂંટણીમાં સાવ હાંસિયામાં ધકેલાઈ જાય તેવું પણ બનતું આવ્યું છે. ઝારખંડની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ઝારખંડ મુક્તિ મોરચા
(જેએમએમ)ના અધ્યક્ષ હેમંત સોરેને એક બહુ રસપ્રદ વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે રાજ્યની જનતાને ક્યારેય કોઈ લાઈનમાં ઊભી રાખી નથી, અમારા પક્ષના કોઈ નિર્ણયથી લોકો પરેશાન થયા નથી. બસ, આ કારણે જ લોકોએ અમને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી દીધા છે.
સોરેનની આ વાતમાં દમ તો છે જ. લોકો હંમેશાં લાંબા ગાળાના નુકસાન કરતાં ટૂંકા ગાળાના ફાયદા પર પોતાની પસંદગી ઉતારતા હોય છે. જનતાનો આ મૂડ પારખવામાં જો સહેજ પણ ચૂક થાય તો ચૂંટણીનાં પરિણામો આકરો ઝટકો લઈને જ આવે છે.
એક હકીકત તમામ રાજકીય પક્ષ અને નેતાઓએ સમજવી-સ્વીકારવી જ રહી કે આ દેશના કોઈ પણ રાજ્યનો ગરીબ કે અભણ મતદાર પણ રાજનીતિની દૃષ્ટિએ ખૂબ હોશિયાર છે. તે બહુ સારી રીતે સમજે છે કે રાષ્ટ્રીય સ્તરે ગાજતા મુદ્દાઓ અને રાજ્યના જમીન સાથે જોડાયેલા અસલી મુદ્દાઓ વચ્ચે હકીકતમાં શું તફાવત છે. આથી જ તે રાષ્ટ્ર હિતમાં પોતાની પ્રાથમિકતા અને પસંદગીને બદલવામાં લેશમાત્ર પણ અચકાતો નથી. લોકશાહીનો પ્રથમ ચોકીદાર એ છેવાડાનો મતદાર જ હોય છે, જે સમય અનુસાર કોઈ રાજકીય વ્યૂહરચનામાં ફસાયા વિના પોતાની ફરજ નિભાવે છે. દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે આ તમામ મુદ્દાનું બારીકાઈથી ધ્યાન રાખવું પડશે. સ્થાનિક મુદ્દા અને પ્રશ્નોને વાચા આપવાના બદલે જો કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયો અને પગલાંઓની ગાથા જ મતદારો સમક્ષ ગાવામાં આવશે તો ઝારખંડનું પુનરાવર્તન દેશના કોઈ પણ રાજ્યમાં થઈ શકે છે. છેલ્લી થોડી ચૂંટણીઓનાં પરિણામોએ વિપક્ષો, ખાસ કરીને કોંગ્રેસમાં નવો પ્રાણ પૂર્યો છે. ભાજપ ‘અજેય’ પક્ષ છે અને તેને હરાવવો લગભગ અશક્ય છે તે ધારણા હવે નબળી પડતી જાય છે. આવા સંજોગોમાં ભાજપે આ તમામ મુશ્કેલ પડકારોને પહોંચી વળવા માટે ખાસ રણનીતિ તૈયાર કરીને જ મેદાનમાં ઊતરવું પડશે.