ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસના સૌથી વધુ કેસની સાથે બ્લેક ફંગસ બાદ હવે સફેદ ફંગસના પણ કિસ્સા આવી રહ્યા છે, ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાઈકોસિસના 700થી વધુ દર્દીઓ
અમદાવાદમાં મ્યુકર્માઈકોસિસનો ખતરો વધ્યો
સૌથી વધુ મ્યુકર્માઈકોસિસના કેસ ગુજરાતમાં
બ્લેક ફંગસ વચ્ચે સફેદ ફંગસનો પગ પેસારો
કોરોના બાદ હવે રાજ્યમાં મ્યુકર્માઈકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસના સૌથી વધુ કેસ છે. રાજ્યમાં બ્લેક ફંગસ બાદ હવે સફેદ ફંગસના પણ કેસ સામે આવી રહ્યા છે. આ અંગે વીટીવીએ ડૉ.સપન શાહ સાથે વાત કરી હતી. તેમને જણાવ્યું કે, સફેદ ફંગસમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે. તથા ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાઈકોસિસના 700થી વધુ દર્દીઓ છે. આ સાથે ડૉ.સપન શાહે ઈન્જેકશન તથા દવાઓની અછતના કારણે સારવારમાં મુશ્કેલી આવતી હોવાની વાત પણ સ્વીકારી હતી.
આવા કેસમાં સીટી સ્કેન કરાવવો ફરજિયાત: ડૉ.સપન શાહ
સાથે ડૉ.સપન શાહે કહ્યું કે, સફેદ ફંગસની બીમારીના મોટાભાગના લક્ષણ કોરોના સંક્રમણ જેવા જ હોય છે. જેને લઈ સીટી સ્કેન કરાવવો ફરજિયાત બની જાય છે. સફેદ ફંગસની અસર પણ ફેફસામાં જોવા મળે છે. અને તેમાં પણ કોરોનાના દર્દીઓની જેમ શ્વાસની તકલીફ જોવા મળે છે. આ કારણથી ઘણી વખત બંને રોગ વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બની જાય છે.
રાજકોટના તબીબોનું મ્યુકર્માઈકોસિસના કેસને તારણ સામે આવ્યું છે. તબીબોએ મ્યૂકર્માઇકોસિસ થવા પાછળ ગંભીર તારણ જણાવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો ઓક્સિજન મ્યુકર્માઈકોસિસનું નિમિત્ત બન્યું છે. તેમજ વેલ્ડિંગ-કટિંગનો ઓક્સિજન કોવિડ દર્દીને અપાતા મ્યૂકર વધ્યા છે. ઓક્સિજનની અફરાતફરીમાં દર્દીને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો ઓક્સિજન આપ્યો હતો. આ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનમાં 99.67% શુદ્ધ નહીં 55% જ શુદ્ધતા હોય છે. માસ્કના ક્લિનિંગનો અભાવ તેમજ સિલિન્ડર અને પ્રેસર કીટની સ્વચ્છતામાં ચૂક પણ એક કારણ હોવાનું તારણ સામે આવ્યું છે.
અમદાવાદમાં મ્યુકર્માઈકોસિસની સારવાર માટે ઈન્જેક્શનની અછત હોવાનું સામે આવ્યું છે. LG હોસ્પિટલમાં ઈન્જેક્શન માટે લાંબી લાઈનો લાગી છે. પરંતુ હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન ન હોવાના બોર્ડ લગાવી દેવાયા છે. દર્દીના સગા લાઇનમાં ઉભા રહીને કલાકો સુધી ઈન્જેક્શન મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે. અનેક દર્દીઓના સગાઓએ કહ્યું કે, સરકાર દર્દીઓને ધક્કા ખવડાવે છે. ઇન્જેક્શન નથી તો જાહેરાત શું કામ કરવામાં આવે છે. અમે ઈન્જેક્શન માટે ભટકી રહ્યા છીએ. અને તંત્રના અણઘડ વહીવટથી દર્દીઓને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં મ્યકર્માઈકોસિસનો ખતરો સતત વધી રહ્યો છે. બાળકો પર પણ મ્યકર્માઈકોસિસનો ખતરો વધ્યો છે. ત્યારે સંક્રમિત થયેલા બાળકોના માતા-પિતાએ ચેતવાની જરૂર છે. રાકેશ જોશીએ જણાવ્યું કે, કોરોનાના ગંભીર બાળ દર્દીઓને મ્યકર્માઈકોસિસનો ખતરો છે. કોરોના બાદ નાકમાં તકલીફ હોય તો ડોક્ટરની સલાહ જરૂરી છે. સૌથી વધુ સ્ટીરોઇડ અપાયા હોય તેવા દર્દીઓએ ધ્યાન રાખવું જોઇએ. હાલ સિવિલમાં મ્યકર્માઈકોસિસના 971 દર્દીઓ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. મ્યુકર્માઇકોસિસની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરવાનો દાવો કર્યો છે. અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે. Tweet કરીને જણાવ્યું કે, દવા બનાવતી વધુ 5 કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે. ભારતની કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bના 6 લાખ વાઇલને આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો છે. હવેથી દેશમાં કુલ 11 કંપનીઓ એમ્ફોટેરિસીન-Bનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરિસીન-B મ્યુકર્માઇકોસિસના સારવાર માટે ઉપયોગી છે.
મ્યુકર્માઈકોસિસને જાહેર કરાઈ મહામારી
ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસને મહામારી જાહેર કરાઇ છે. CMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો, રોગચાળા અંગે બેઠકમાં વિચારણા હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે મહામારી જાહેર કરવામાં આવી છે.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.