કોર્ટના આદેશ બાદ કેદીને 4 કલાક માટે પેરોલ મળ્યો હતો. જે બાદ કેદી પોલીસ કસ્ટડીમાંથી પેરોલ પર બહાર આવ્યો અને તેણે તેની દુલ્હન સાથે લગ્ન કર્યા.
ઉત્તર પ્રદેશથી સામે આવ્યો અજીબ કિસ્સો
4 કલાક માટે જેલથી બહાર આવી દુલ્હાએ કર્યા લગ્ન
દુલ્હને જ કરી હતી તેના વિરૂદ્ધ ફરિયાદ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક લગ્ન ખૂબ ચર્ચામાં છે. અહીં જેલમાં બંધ એક કેદી લગ્ન કરવા માટે 4 કલાક માટે પેરોલ પર બહાર આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ કેદીને 4 કલાક માટે પેરોલ મળ્યો હતો. જે બાદ કેદી પોલીસ કસ્ટડીમાંથી પેરોલ પર બહાર આવ્યો અને તેણે તેની દુલ્હન સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી વરરાજા કન્યાને તેના પરિવાર સાથે મુકી પાછો જેલમાં ગયો હતો. હકીકતમાં પીલીભીતની એક યુવતીના લગ્ન શાહજહાંપુર જિલ્લાના નિગોહીના રહેવાસી અમિત કુમાર સાથે નક્કી થયા હતા.
દહેજ અને રેપ કેસમાં યુવકને કરાવ્યો જેલ ભેગો
લગ્ન નક્કી થયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બંને મળવા લાગ્યા અને વાતચીત વધવા લાગી. થોડા દિવસો બાદ યુવક અને યુવતી વચ્ચે દહેજની માંગણીને લઈને ઝઘડો થયો હતો અને પીડિતાએ તેના જ મંગેતર સામે દહેજ એક્ટ સહિત બળજબરીથી બળાત્કારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
યુવતીએ જ કરી હતી ફરિયાદ
કેસ નોંધ્યા પછી પોલીસે તરત જ અમિતની ધરપકડ કરી અને તેને જેલ ભેગો કરી દીધો. પરંતુ બંનેના લગ્નની વિધિ થઈ ચૂકી હતી. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પરંતુ લગ્ન તૂટવાને કારણે સોનમના ઘરના લોકો પર પહાડ તૂટી પડ્યો હતો.
સાથે જ જેલમાં ગયા બાદ છોકરાના પરિવારજનોએ સમજૂતીની વાત કરી અમિતના લગ્ન છોકરી સાથે કરાવવાની વાત કરી હતી. જે બાદ 23 ઓગસ્ટના રોજ લગ્નની વાત નક્કી કરવામાં આવી હતી.
જેણે જેલ ભેગો કર્યો તેની સાથે જ કર્યા લગ્ન
બંને પક્ષોએ કોર્ટમાં જઈને સોગંદનામું દાખલ કર્યું અને સમાધાન થયા બાદ બળાત્કારના આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની વિનંતી કરી. ત્યારબાદ સુનાવણી દરમિયાન કોર્ટે છોકરાને 4 કલાક માટે પેરોલ આપ્યો હતો અને તેને પોલીસ કસ્ટડીમાં લગ્ન કરવા અને કોર્ટમાં તેના પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ પોલીસ કસ્ટડીમાં લગ્ન કરવામાં આવ્યા હતા. શહેરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વરરાજાના લગ્નની ભારે ચર્ચા છે.