ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભારે મંદી બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. ટીવીના વેચાણમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટીવી ઉત્પાદકોએ સરકારને જીએસટીમાં કાપ મૂકવા અને ઓપન ટીવી સેલ પેનલ પરથી ઇમ્પોર્ટ ડ્યૂટી હટાવવાની માગણી કરી છે, જેનાથી ટીવીના વેચાણને પ્રોત્સાહન મળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ બાદ ટીવી પેનલ સેલના વેચાણમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. ટીવી ઉત્પાદકોએ ઓછી ડિમાન્ડના કારણે ટીવીના વેચાણમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે. સાથે જ વોશિંગ મશીન અને રેફ્રીજરેટર જેવા અન્ય હોમ એપ્લાયન્સીઝ પ્રોડક્ટની ગ્રોથમાં પણ જુલાઇમાં ભારે ઘટાડો નોંધાયો છે.
કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીઝ મેન્યુફેક્ચરર્સ એસો.ના અધ્યક્ષ કમલ નંદીએ જણાવ્યું છે કે એકંદરે જુલાઇમાં ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ જોવા મળ્યો નથી. નંદીએ વધુમાં જણાવ્યું કે આ ઉદ્યોગ અત્યારે નેગેટિવ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને તેથી સરકારે કેટલીક રાહતો આપીને ઇન્ડસ્ટ્રીની હાલત સુધારવી જોઇએ. પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ સરકારને હોમ એપ્લાયન્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કાપ મૂકવા અને ઓપન સેલ પર ઝીરો ડ્યૂટી લગાવવા માગ કરી છે.
ઓટો અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આટલો ઘટાડો અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી ભારતીય અર્થતંત્ર સામે સવાલો ઊભા થાય છે. એક બાજુ ભારતનું અર્થતંત્ર દુનિયાના અર્થતંત્રમાં મુખ્ય સ્થાન ધરાવે છે તો બીજી બાજુ આ બંને મોટાં ક્ષેત્રોમાં મંદી ચિંતાજનક છે.