આઈપીએલની ટ્રેડ વિન્ડોનો આજે છેલ્લો દિવસ છે. આ વિન્ડોમાં દિલ્હી કેપિટલ્સે સ્પિનર અશ્વિનને પોતાની ટીમમાં જોડી દીધો છે. જો કે હજી એક વધુ અગત્યની ટ્રાન્સફરના સમાચાર મળી રહ્યા છે જેમાં ભારતના વાઈસ કેપ્ટન રહાણેએ પણ દિલ્હી કેપિટલ્સ સાથે હાથ મિલાવ્યા છે.
કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિનને પોતાની સાથે જોડનારી દિલ્હી કેપિટલ્સની નજર હવે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણે પર છે. ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન રહાણે પણ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાને રહાણેની ફેરબદલનો પત્ર સહી કરીને દિલ્હી કેપિટલ્સને મોકલી આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે પણ સંમતિ વ્યક્ત કરીને પ્રક્રિયાને મંજૂરી માટે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઇને મોકલી આપ્યો છે.
આજથી આઇપીએલની ટ્રેડ વિન્ડો બંધ થવા જઈ રહી છે. આવતી કાલથી ફ્રેંચાઇઝીઓ વચ્ચે કોઈ પણ ખેલાડીની ફેરબદલ થઈ શકશે નહીં.
દિલ્હી કેપિટલ્સના એક સિનિયર અધિકારીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે બીસીસીઆઇ તરફથી મંજૂરી મળી ગયા બાદ અમે આ અંગે કંઈક કહી શકીશું. હાલ ફક્ત એટલું કહી શકાય કે રહાણે અંગે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે.
ઉલ્લેખનીય છે કે ગત ૮ નવેમ્બરે દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિનને આગામી આઇપીએલ સિઝન માટે પોતાની સાથે જોડવાની જાહેરાત કરી હતી. અશ્વિન છેલ્લી બે સિઝનથી પંજાબના કેપ્ટન તરીકે રમી રહ્યો હતો. જોકે સારી શરૂઆત છતાં તે પંજાબની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી શક્યો નહોતો.
અશ્વિનને પોતાની સાથે જોડ્યા બાદ દિલ્હીની નજર રહાણે પર હતી. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે વાતચીત ચાલી રહી હતી, પરંતુ આખરે ગત મંગળવારે આ અંગે સંમતિ સધાઈ શકી હતી.