અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસની અંદર ખૂબ મોટી ખોટ પડી છે ત્યારે તેમના પદ પર પવન કુમાર બંસલની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસની અંદર પવન કુમાર બંસલની ગણતરી શાંત રહેનાર નેતાઓમાં થાય છે અને તે ગંભીર નેતા તરીકે ઓળખાય છે.
કોંગ્રેસના કોષાધ્યક્ષ પદ પર પવન કુમાર બંસલ
અહેમદ પટેલના નિધનથી ખાલી થયું હતું પદ
પવન કુમાર પર મંત્રી પદ પર રહેવા દરમિયાન લાગ્યા હતા ગંભીર આરોપ
અહેમદ પટેલના જવાથી કોંગ્રેસને ખૂબ મોટી ખોટ પડી
કોંગ્રેસમાં આંતક વિરોધ વચ્ચે પાર્ટીએ મોટો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક રૂપે પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલા આ પદ પર દિવંગત નેતા અહેમદ પટેલ હતા. અહેમદ પટેલનું પાર્ટીમાં ખૂબ મોટું કદ માનવામાં આવતું હતું અને તે થોડા મહિનાઓ પહેલા જ કોરોના વાયરસથી ગ્રસિત થયા હતા. ધીમે ધીમે તેમની તબિયત વધુને વધુ લથડતી રહી અને 25મી નવેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેમદ પટેલના જવાથી કોંગ્રેસને ખૂબ મોટી ખોટ પડી છે.
પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાલમાં અહેમદ પટેલનું પદ હવે બંસલને સોંપ્યું છે. આ પહેલા તેઓ પાર્ટીના પ્રભારી રૂપે કામ કરી રહ્યા હતા. બંસલ ચંડીગઢથી પાંચ વાર સાંસદ રહી ચુક્યાચ છે. અહેમદ પટેલના મોત બાદ ઘણા બધા નામ ચર્ચામાં આવી રહ્યા હતા જોકે હવે બંસલના નામ પર મહોર મારવામાં આવી છે.
અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીના સંકટમોચક માનવામાં આવતા હતા અને તે સોનિયા ગાંધીના સૌથી ભરોસેમંદ હતા. તે 71 વર્ષના હતા અને કોરોના વાયરસથી સંક્રમિત હતા.
કોણ છે આ પવન કુમાર
પવન કુમારને કોંગ્રેસમાં ખૂબ શાંત નેતા તરીકે ગણવામાં આવે છે અને તે ગંભીર નેતા છે. આ સાથે જ તેઓ ખૂબ તેજ અને દ્રઢતાથી બોલવા માટે પણ જાણીતા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ રાજકારણમાં શાંત દેખાઈ રહ્યા હતા અને હવે તેઓ સીધા જ ફ્રન્ટલાઈનમાં આવી જશે.
પવન કુમાર બંસલ પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા, તેઓ મનમોહન સિંહની સરકારમાં રેલ મંત્રી બન્યા હતા અને તેમના ભત્રીજા પર લાંચનો આરોપ લાગતા વર્ષ 2013માં તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.