ચેન્નાઈનાં ચેપોક સ્ટેડિયમમાં યોજાયેલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે. ભારતની આ જીતમાં ટીમવર્ક જોવા મળ્યું હતું અને તેમાં પણ અમુક પ્લેયરે પોતાનું આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપીને ટીમને મજબૂત સ્થિતિ અપાવવામાં મદદ કરી હતી.
પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને એક જીતની ખાસ જરુર હતી
બીજી ટેસ્ટનાં પહેલા દિવસથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર ભારે પડી હતી
ચોથા દિવસનાં પહેલા સેશનમાં જ મેળવી લીધી જીત
ભારતે 1-1થી સિરીઝમાં બરાબરી કરી
ભારતે બીજી ટેસ્ટ મેચમાં શરુઆતથી જ મજબૂતી હાંસલ કરી રાખી હતી. પહેલી ઈનિંગમાં 329નો સ્કોર કર્યાં બાદ ઈંગ્લેન્ડ તેનાં જવાબમાં ફક્ત 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ભારતે બીજી ઈનિંગમાં 286 રન ખડકીને કુલ 482 રનની જંગી લીડ મેળવી લીધી હતી. જેનાં જવાબમાં ઈંગ્લેન્ડનો ટીમ ચોથા દિવસની શરુઆતમાં પણ નબળો દેખાવ જારી રહ્યો હતો અને 164 રનમાં આખી અંગ્રેજ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત બાદ ભારતે ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 1-1થી બરાબરી કરી લીધી છે.
અશ્વિને સદી ફટકારી અને કુલ 8 વિકેટ લીધી
પણ ભારતની જીતમાં મને ઓફ ધ મેચનો ખિતાબ એક એવા સ્પેશિયલ ખેલાડીને મળ્યો છે જેણે ભારતની જીત માટે કંઈક ખાસ યોગદાન આપ્યું છે. જેણે ઈંગ્લેન્ડનાં બેટ્સમેન અને બોલર બંનેને ધોળા દિવસે તારા દેખાડ્યા છે. રવિચંદ્રન અશ્વિન કે જેણે પહેલી ઈનિંગમાં બોલિંગથી ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં બેટીંગનાં જોર પર પોતાનું જોમ રજૂ કર્યું હતું. અશ્વિને પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની પાંચ વિકેટ ખેરવી હતી જ્યારે બીજી ઈનિંગમાં બેટીંગમાં સદી ફટકારી હતી અને બોલિંગમાં 3 વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી આપી હતી.
જોકે ટીમ ઈન્ડિયાની જીત માટે મેન ઓફ ધ મેચનાં દાવેદારમાં બે નામો હતા જેમાં એક નામ અશ્વિનનું હતુ અને બીજું નામ રોહિત શર્માનું. રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં વન-ડે સ્ટાઇલમાં ધુંઆધાર બેટીંગ કરીને 18 ચોક્કા અને 2 છક્કાનાં સહારે 161 રન બનાવીને ભારતને 329 રનનો સ્કોર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. પણ મેન ઓફ ધ મેચનો ખિતાબ અશ્વિનને આપવામાં આવ્યો કેમકે તેણે બેટીંગ અને બોલિંગ બંનેમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવડાવી હતી.
આ ગુજ્જુ પ્લેયર પણ રહ્યો ખાસ
પહેલી ટેસ્ટમાં કારમો પરાજય મેળવ્યા બાદ ભારતને જીત મેળવવી ખૂબ જરુરી હતી. જ્યારે પહેલી ટેસ્ટમાં સારુ પ્રદર્શન ના આપનાર નદીમની જગ્યાએ બીજી ટેસ્ટ માટે અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો. અક્ષર ટીમ મેનેજમેન્ટની પસંદ પર ખરો ઉતર્યો અને તેણે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની 2 વિકેટ ખેરવી જ્યારે બીજી ઈનિંગમાં 5 વિકેટ ખેરવીને ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી.