અલાહાબાદઃ સંતોની ઉગ્રમાંગને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મોટી જાહેરાત કરી છે. કહ્યું કે અલાહાબાદનું નામ હવે પ્રયાગરાજ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ શનિવારે સાંજે અલાહાબાદમાં કુંભ માર્ગદર્શન મંડળની બેઠક બાદ આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે સંતો સતત અલાહાબાદનું નામ બદલીને પ્રયાગ કરવાની માંગ કરી રહ્યા હતા. માર્ગદર્શન મંડળની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. બેઠકની અધ્યક્ષતા કરી રહેલા રાજ્યપાલ રામનાઇકે પણ આના પર સહમતિ દર્શાવી છે. તેમણે કહ્યુ કે જ્યાં બે નદિઓનો સંગમ થાય છે તેને પ્રયાગ કહેવામાં આવે છે.
જો કે યોગી સરકાર જ્યારે માર્ચ 2017માં આવી ત્યારે તેમણે વચન પણ આવ્યું હતું કે અલાહાબાદને પ્રયાગરાજ કરી દેશું. ત્યારે હવે અલાહાબાદનું નામ 444 વર્ષ બાદ ફરી પ્રયાગરાજ થવા જઇ રહ્યું છે.
પૌરાણીક મહત્વ
રામચરિત માનસમાં આને પ્રયાગરાજ જ કહેવામાં આવ્યું છે. સંગમના જળથી પ્રાચીન કાળમાં રાજાઓનો અભિષેક થયો હતો. આ વાતનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં છે. વન જતા સમયે શ્રીરામ પ્રયાગમાં ભારદ્વાજ ઋષિના આશ્રમ પર થઇને ગયા હતા. ભગવાન શ્રીરામ જ્યારે શ્રૃંગ્વેરપુર પહોંચ્યા તો ત્યાં પ્રયાગરાજનો જ ઉલ્લેખ આવ્યો. સૌથી પ્રાચીન અને પ્રામાણિક પુરાણ મત્સ્ય પુરાણના 102 અધ્યાયથી લઇને 107 અધ્યાય સુધીમાં આ તીર્થના મહાત્મ્યનું વર્ણન છે. જેમાં લખ્યું કે પ્રયાગ પ્રજાપતિનું ક્ષેત્ર છે જ્યાં ગંગા અને યમુના વહે છે.
ક્યારે બદલાયું નામ
અકબરનામુ અને આઇને અકબરી અને અન્ય મુગલકાળના ઐતિહાસક પુસ્તકોથી જાણ થયા છે કે અકબરે વર્ષ 1574ની આસપાસ પ્રયાગરાજમાં કિલ્લાની સ્થાપના કરી. તેનાથી અહીં નવું શહેર વસાવ્યું જેનું નામ તેમણે અલાહાબાદ રાખ્યું. તે પહેલા સુધી આને પ્રયાગરાજના નામે જ ઓળખવામાં આવતું હતું.