ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને દરેક મંત્રી પોતાના ઇન્કમટેક્સ હવે જાતે ભરશે. પ્રદેશના નાણાંમંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મંત્રીઓ પગાર, ભથ્થાં અને પરચૂરણ કાયદા 1981ના અંતર્ગત દરેક મંત્રીના ઈન્કમટેક્સના બિલની ચૂકવણી હાલ સુધી રાજ્ય સરકારના ખાતામાંથી થતી હતી. ખન્નાએ જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક મંત્રીઓ પોતાના ઈન્કમટેક્સ જાતે જ ભરશે.
યૂપી મુખ્યમંત્રી અને તમામ મંત્રી જાતે ભરશે ઈન્કમટેક્સ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર કર્યા છે નવા નિર્દેશ
યૂપીમાં 1981થી એક જ કાયદાના કારણે મુખ્યમંત્રી અને મંત્રીઓના ટેક્સ સરકારી ખાતામાંથી ભરાતા
આ વર્ષે કુલ 86 લાખ રૂપિયા સરકારી ખજાનામાંથી ભરવામાં આવ્યા
યૂપીમાં છેલ્લા 38 વર્ષોથી સરકારી ખજાનામાંથી મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના ઈન્કમ ટેક્સ ભરવાની પરંપરા હવે પૂર્ણ થવાના આરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે હવેથી કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રીનો ઈન્કમટેક્સ સરકારી ખજાનામાંથી ભરવામાં આવશે નહીં. પરંતુ સંબંધિત વ્યક્તિ પોતાની સંપત્તિમાંથી તેને ભરશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લગભગ 4 દાયકા જૂના કાયદા અનુસાર મંત્રીઓના ઈન્કમટેક્સના બિલ રાજકોષથી ભરવામાં આવતા હતા. જો કે નેતાઓને આ વિશેની જાણકારી ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ કાયદાથી અત્યારસુધી કોને કોને થયો હતો ફાયદો?
જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઉત્તર પ્રદેશના મંત્રીઓના પગાર, ભથ્થાં અને પરચૂરણ કાયદા 1981નો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ કાયદાથી અત્યાર સુધીમાં 19 મુખ્ય પ્રધાનો અને આશરે 1000 પ્રધાનોને ફાયદો થયો છે. જોકે કેટલાક મંત્રીઓનું કહેવું છે કે તેઓને આ અંગે જાણકારી જ નથી. જ્યારથી કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ વિવિધ રાજકીય પક્ષો યોગી આદિત્યનાથ, મુલાયમસિંહ યાદવ, માયાવતી, કલ્યાણ સિંહ, અખિલેશ યાદવ, રામપ્રકાશ ગુપ્તા, રાજનાથ સિંહ, શ્રીપતિ મિશ્રા, વીર બહાદુર સિંહ અને નારાયણ દત્ત તિવારીને લાભ થયો. વિશ્વનાથ પ્રતાપસિંહના સાથી એવા કોંગ્રેસના નેતાએ કહ્યું કે કાયદો પસાર થયો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહે વિધાનસભામાં દલીલ કરી હતી કે રાજ્ય સરકારે આવકવેરાનો ભાર સહન કરવો જોઇએ કારણ કે મોટાભાગના મંત્રીઓની સ્થિતિ નબળી છે અને તેમની આવક ઓછી છે.
જાણો નેતાઓ પાસે કેટલી છે સંપત્તિ?
રસપ્રદ વાત એ છે કે, સમયની સાથે રાજ્યનું નેતૃત્વ બસપા સુપ્રીમો માયાવતી જેવા નેતાઓના હાથમાં હતું. રાજ્યસભામાં 2012 ની ચૂંટણી સમયે દાખલ કરેલા સોગંદનામા મુજબ, તેમની સંપત્તિ 111 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી. તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરેલા એફિડેવિટ મુજબ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પાસે પણ તેમની પત્ની ડિમ્પલ સાથે 37 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. વિધાન પરિષદમાં 2017 ની ચૂંટણી સમયે દાખલ કરેલા સોગંદનામા મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંપત્તિ 95 લાખ રૂપિયાથી વધુની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે હવે પગારમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે, તેથી આ છૂટની કોઈ જરૂર નથી. આ કાયદા પર ફરીથી વિચાર કરીને તેને નાબૂદ કરવો જોઈએ. પૂર્વ નાણાં પ્રધાન અને બસપા નેતા લાલજી વર્મા સહિત ઘણા નેતાઓ આ કાયદા વિશે જાગૃત નથી. તે કહે છે કે જ્યાં સુધી તેમને યાદ છે ત્યાં સુધી તે ટેક્સ ભરતા આવ્યા છે. સપાના એક નેતાએ કહ્યું કે તેમને આવી કોઈ સુવિધાની જાણકારી નથી.
સામાન્ય માણસ ટેક્સ ભરે છે તો મંત્રીઓ નથી ભરતાઃ અનિલ કુમાર
રાજ્યના કાયદા પ્રધાન બ્રિજેશ પાઠકે કહ્યું કે અધિકારીઓ સાથે વાતની ચકાસણી કર્યા પછી જ તેઓ આ મુદ્દે વાત કરશે. સામાજિક કાર્યકર અનિલ કુમારે કહ્યું કે સામાન્ય માણસ માટે આશ્ચર્યજનક વાત છે કે જે ટેક્સની મોટી રકમ ભરે છે, પરંતુ નેતાઓ કર ચૂકવતા નથી. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળના સાથીદારો માટે 86 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. દરમિયાન, રાજ્યના ઉર્જા પ્રધાન શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે વી.પી.સિંઘની હેઠળ 1981થી કાયદો અમલમાં છે. જે પણ થઈ રહ્યું છે તે તે કાયદા અનુસાર કરવામાં આવી રહ્યું છે.