ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ 2 મોત થઈ ચૂક્યા છે ત્યારે લોકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક વધુ કેસ સામે આવ્યો છે. ભારતમાં કુલ 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 17 વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. કેરળમાં હાલ સુધી 3 લોકો સારવારથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાને કારણે 2 મોત બાદ વધુ એક કેસ નોંધાયો
2 દિવસ અગાઉ કર્ણાટકમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું હતું. આ સાથે જ ગઈકાલે દિલ્હીમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય મહારાષ્ટ્રના અહમદનગરમાં વધુ એક કેસ સામે આવ્યો છે. દુબઇથી પરત ફરેલા અહમદનગરનો દર્દી કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાનો કુલ સંક્રમિત કેસનો આંક 82 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 10 લોકો સારવાર બાદ ઘરે પાછા ફર્યા છે.
વિશ્વમાં કોરોનાના કુલ કેસ અને 24 કલાકમાં મૃત્યુઆંક
મળતી માહિતિ અનુસાર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 250 લોકોના મોત થયા છે તો વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2547 નવા કેસ નોંધાયા છે. ઇટલીમાં હાલ સુધીમાં કોરોનાથી કુલ 1266 લોકોના મોત નીપજ્યા છે. અહીં હાલ સુધીમાં કુલ 17660 કેસ નોંધાયા છે. ઈરાનમાં કોરોનાના કુલ 11364 કેસ નોંધાયા છે તો ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 85 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં નોંધાયા કોરોનાના 6 કેસ
દિલ્હીમાં અધિકારીક રીતે મળતી માહિતી અનુસાર કોરોનાના કુલ 6 કેસ સામે આવ્યા છે. પણ વાયરસ ફેલાતા અટકાવવા માટે દિલ્હી સરકારે મહામારી જાહેર કરી છે અને તે માટેના પગલાં પણ લઈ રહી છે. 6 લોકોમાં 4ની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કોરોનાથી પ્રભાવિત દેશોની યાત્રા કરીને દિલ્હી આવ્યા હતા.