કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. દેશભર સહિત આજથી અમદાવાદમાં મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.
દેશમાં 169 દિવસ બાદ ફરી મેટ્રો સેવા શરૂ
અમદાવાદમાં સવારે 11થી 12.10 કલાક ચાલશે મેટ્રો
અમદાવાદમાં સાંજે 4.25થી 5.10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે
દેશભરમાં 169 દિવસ બાદ ફરી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે.
કોવિડના નિયમોનું કરવામાં આવશે પાલન
સરકારના કોવિડ ગાઇડલાઇનને અનુસરી લોકો મેટ્રો સેવાનો લાભ લઇ શકશે. જેમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરોએ એક સીટનું અંતર રાખી બેસવું પડશે. જ્યારે માસ્ક વિના મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટ્રો સ્ટેશનમાં જતા પહેલા થર્મલ સ્ક્રિનીંગ ફરજિયાત કરવાનું રહેશે. મુસાફરો માટે ટોકનનો ઉપયોગ નહી થાય, માત્ર મેટ્રો કાર્ડ ચાલશે. એક સમયે મેટ્રોમાં 90 લોકો જ બેસી શકશે.
આ અગાઉ અમદાવાદમાં તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું. વસ્ત્રાલથી એપરલ પાર્ક રૂટ પર મેટ્રો સેવા શરૂ થાય તે પહેલાની સ્ટેશન સહિતની તમામ જગ્યાએ સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું. ટ્રેન કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સ્ટીકર પણ લગાવવામાં આવ્યાં છે.
મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે. તંત્રનુ માનીએ તો મેટ્રો ટ્રેનમાં રોજના 1000 મુસાફરો મુસાફરી કરે છે. જેની પ્રતિદિન દસ હજારની આવક થાય છે. જોકે ટ્રેન બંધ હોવાથી તે આવક થઇ શકી નથી.
જેથી મેટ્રો રેલ સેવાને આથી 16.70 લાખ જેટલું નુકસાન થઇ ગયું છે. ત્યારે હવે 169 દિવસ બાદ(7 સપ્ટેમ્બર)થી ફરી મેટ્રો ટ્રેન શરુ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલ ગામથી એપરલપાર્કના 6.5 કિમીના રુટનુ માર્ચ 2019માં લોકાર્પણ કરવામા આવ્યું હતું.