14 વર્ષ પહેલા શુક્રવારે જ કોરોમંડલ એક્સપ્રેસને નડ્યો હતો અકસ્માત
એ અકસ્માતમાં 16 મુસાફરોના મોત જ્યારે 161 લોકો થયા હતા ઘાયલ
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આ બધાની વચ્ચે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ઘાયલોની સંખ્યા પણ 900થી વધુ છે. આ અકસ્માતને દેશની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક કહેવામાં આવી રહી છે. દેશમાં અગાઉ પણ રેલ અકસ્માતો થયા છે. પરંતુ આવી ઘટના વર્ષો પછી બની છે. આ અકસ્માતે 14 વર્ષ પહેલા થયેલા અકસ્માતની યાદ અપાવી છે.
આશ્ચર્યની વાત એ છે કે આવી જ ઘટના અને આ જ ટ્રેન સાથે અગાઉ બની હતી. વિગતો મુજબ ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ સાથે પણ બની હતી. આટલું જ નહીં જે દિવસે આ ઘટના બની તે દિવસે શુક્રવાર પણ હતો. તારીખ 13 ફેબ્રુઆરી 2009. કોરોમંડલ એક્સપ્રેસ ચેન્નાઈ તરફ જઈ રહી હતી. ટ્રેનની સ્પીડ પણ ઘણી વધારે હતી. ત્યારે અચાનક ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 11 સ્લીપર ક્લાસના અને બે જનરલ ક્લાસના હતા. આ અકસ્માતમાં પણ બોગી એકબીજા પર ચઢી ગઈ હતી. જેમાં 16 મુસાફરોના મોત થયા હતા જ્યારે 161 લોકો ઘાયલ થયા હતા.
ગઈકાલે થયેલ અકસ્માતમાં 280 જેટલા લોકોના મોત
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના અત્યાર સુધી 280 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 2 ટ્રેન અને એક માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. બંને ટ્રેનમાં 3-4 હજાર લોકો હાજર હતા. આવી સ્થિતિમાં દુર્ઘટનાને કારણે તબાહી ખૂબ મોટા પાયે થઈ છે.
NDRF અને SDRF દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ
દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. NDRF અને SDRFની સાથે આર્મી અને એરફોર્સે પણ આમાં મદદ કરી. ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને એરફોર્સના એમઆઈ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોના પરિજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થળ પર પહોંચવાના છે જ્યાં તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે.