મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી
ગુજરાતમાં જંત્રી દરને લઈ મોટા સમાચાર
સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કવાયત
સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા કલેક્ટરોને સૂચના
11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે
ગુજરાતમાં જંત્રી દરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ તમામ કવાયતોને જોતાં હવે 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.
જિલ્લા કલેક્ટરોને શું સૂચના અપાઈ ?
સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ છે. જે બાદમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે.
2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં આવ્યા હતા
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. જોકે તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે.
તો શું દર વર્ષે નવી જંત્રી બહાર પાડવી પડે ?
મહત્વનું છે કે, મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરી ને દર વર્ષે નવી જંત્રી બહાર પાડવાનું નક્કી કરાયેલું છે. જોકે લાંબા સમયથી વિવિધ કારણોસર જમીન-મકાનના ભાવમાં વધારો થવાથી સામાન્ય નાગરિકોને બોજો જ આવે અને રાજકીય લાભાલાભ જોઈને 11 વર્ષથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
આગમી બજેટમાં થશે જાહેરાત ?
2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેની આગામી બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી શકે છે.
જંત્રીના દર સુધારવાના કારણો
જંત્રીના દર સુધારવાની કવાયત પાછળના કારણોમાં સરકારની આવકમાં વધારો કરવાનું મુખ્ય કારણ છે. આ સાથે 11 વર્ષ જૂન દર અને હાલના બજાર ભાવમાં મોટો ફરક હોવાથી અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આ સાથે સરકારેને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ભારે નુકશાન પણ થઈ રહ્યું છે.
ખેડુતોને થશે ફાયદો ?
રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન, નેશનલ હાઇવે સહિતના મોટા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા સમયે બિનખેતીના કામમાં ખેતીની જમીન ખરીદાય તો ખેડુતોને જંત્રીના દર નીચા હોવાથી નુકશાન પણ જતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં આ મુદ્દે અનેક પ્રશ્નો સર્જાયેલા છે. તેના કારણે સરકારમાં પણ અંદરખાને જંત્રીના દર વધારવા ધારાસભ્યો દ્વારા પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.