મુંબઇ: મહારાષ્ટ્રના લોકો માટે એક ખુશખબર છે. હવેથી મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ખાવાની ચીજવસ્તુઓ લઈ જઈ શકાશે. મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારની મંજૂરી મળી છે. જેથી આગામી પહેલી ઓગસ્ટથી થિયેટરમાં ફિલ્મ જોવા જતી વખતે અંદર ખાવાની ચીજવસ્તુઓ પણ લઈ જઈ શકાશે.
એટલું જ નહી સિનેમા હોલની અંદર વેચાતા ફૂડ પ્રોડક્ટસની કિંમત પણ ઘટાડવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે આ મુદ્દે તેઓ મલ્ટિપ્લેક્સના માલિકો સાથે બેઠક કરશે અને થિયેટરની અંદર વેચાતી ખાવાની ચીજવસ્તુઓની વેચાણ કિંમત પણ નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જજ આર.એમ.બોર્ડે અને જજ રાજેશ ખેતકરે આ આદેશ જૈનેન્દ્ર બક્શીની અરજી પર આપ્યો છે. તો આ મામલે મલ્ટિપ્લેક્સના માલિકો દ્વારા પોતાનો પક્ષ રાખવાની પણ વાત કરી છે.
આપને જણાવી દઇએ કે ફિક્કી મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે અરજી દાખલ કરીને જે રાહત માગવામાં આવી છે તેનાથી મલ્ટિપ્લેક્સ માલિક પ્રભાવિત થશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મલ્ટિપ્લેક્સ થિયેટરમાં વેચાતી ખાણીપીણીની ચીજવસ્તુઓનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આદેશ કરવામાં આવ્યો છે. જો કે તાજેતર મુંબઇની વડી અદાલતે દર્શકોના પક્ષમાં નિર્ણય લેતા જણાવેલ કે આગામી ઓગસ્ટ માસની પહેલી તારીખથી મહારાષ્ટ્ર રાજ્યના થીયેટરમાં ખાણી-પીણીની ચીજ વસ્તુઓ લઇ જઇ શકાશે.