અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાનોએ આતંકી હુમલો કર્યો હતો. ઈદની નમાજ વખતે જ થયેલા આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની સંભાવના છે.
રાષ્ટ્રપતિભવનથી નજીકના વિસ્તારમાં થયો હુમલો
અમેરિકાએ લશ્કર પાછું ખેંચ્યા બાદ વધ્યા હુમલા
ઈદની નમાઝ વખતે જ થયો હુમલો
અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્ય પાછું ખેંચ્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધતો રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ફરી એકવાર વિસ્ફોટોના અવાજોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે સવારે કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર થયેલા રોકેટ હુમલાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીદની પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હુમલો સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગ્યે થયો હતો. હુમલાના સ્થળથી રાષ્ટ્રપતિ ભવન ખૂબ જ નજીક છે . આ હુમલા અંગે એવું માનવામાં આવે છે કે આ હુમલાનું લક્ષ્ય રાષ્ટ્રપતિ અશરફ ગની હોવાની સંભાવના છે.
ત્રણ રોકેટ છોડ્યા તાલીબાનોએ
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ઓછામાં ઓછા ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ઈદની નમાઝ દરમિયાન બગ-એ-અલી મરદાન, કાબુલના ચમન-એ-હોજોરી અને રાષ્ટ્રપતિ ભવન પાસેના મનાબે બશારી વિસ્તારમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે અહી લાંબા સમયથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તકરાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવન અને ગ્રીન ઝોનની આજુબાજુના વિસ્તારમાં ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. અમેરિકન સૈન્યની વિદાય બાદ તાલિબાનોને છૂટો દોર મળી ગયો છે.