માલવિંદરે તેમના વકીલ સાથે મુલાકાતની મંજૂરી માગી હતી
કોર્ટે આવી મંજૂરી આપવાનો ઈન્કાર કરતી વખતે કહ્યું, પૈસાદાર આરોપીઓ માટે કોર્ટની સત્તાઓ નથી
દિલ્હી હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે કોર્ટ પાસે અસાધારણ શક્તિઓ એટલા માટે નથી કે પૈસાદાર આરોપીઓ તેમના શંકાસ્પદ કૃત્યો માટે કાયદાને તોડવા કે મરોડવાનો પ્રયાસ કરે. ફોર્ટિસના ભૂતપૂર્વ પ્રમોટર મલવિંદર સિંઘ અને તેમના વકીલ દ્વારા જેલ સત્તાવાળાઓને રૂબરૂ મુલાકાત માટે નિર્દેશો આપવાની માગણી કરતી અરજીને નકારી કાઢતી વખતે હાઇકોર્ટનું આ અવલોકન આવ્યું હતું.
આર્થિક અપરાધો દેશની અર્થવ્યવસ્થા માટે જ નહીં સમાજ માટે પણ હાનિકારક-હાઈકોર્ટ
કોર્ટે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ માલવિંદર સિંહ પર રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડના ભંડોળની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસ લગભગ 2,397 કરોડ રૂપિયાનો છે. જસ્ટિસ ચંદ્રધારી સિંહે પોતાના આદેશમાં કહ્યું હતું કે, આર્થિક અપરાધો માત્ર દેશની અર્થવ્યવસ્થા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ હાનિકારક છે.
કોર્ટની અસાધારણ શક્તિઓ પૈસાદાર આરોપીઓના ઉપયોગ માટે નથી
હાઈકોર્ટે એવું પણ કહ્યું કે આ અદાલતની અસાધારણ શક્તિઓનો ઉપયોગ પૈસાદાર આરોપીઓના ઉપયોગ માટે નથી. પૈસાદાર આરોપીઓ દેશના કાયદા અને વહીવટી તંત્રને વિકૃત કરવામાં કોઈ કસર છોડતા નથી. આવા ગુનાઓ પછી વંચિત અને નીચલા વર્ગોને ઘણીવાર નકારાત્મક અસર થાય છે. કોર્ટે કહ્યું કે પૈસાદાર આરોપીઓ કાયદાને તોડવા કે મરોડવા માટે એક પણ તક જતી કરતા નથી.
પોતાના વકીલ સાથે મિટિંગની મંજૂરી માગી હતી માલવિંદરે
માલવિંદરે કોર્ટમાં અરજી કરીને એવી માગ કરી હતી કે દિલ્હી હાઈકોર્ટ મેડિએશન સેન્ટર ખાતે તિહાર જેલ નં.8ના જેલ અધિક્ષક મારી અને મારા વકીલ સાથે મુલાકાત કરાવી આપે તેવો તેમને નિર્દેશ આપો. જોકે કોર્ટે માલવિંદરની અરજી નકારી કાઢી હતી. જસ્ટિસ સિંહે અરજી ફગાવતા કહ્યું કે અસાધારણ રીટ કાર્યક્ષેત્રનો ઉપયોગ કોઈ અરજદારને વિશેષ ટ્રીટમેન્ટ આપવા માટે ન કરી શકાય. તેમણે કહ્યું કે કોર્ટની આંતરિક શક્તિઓ કોઈ કોર્ટની ખોટી શક્તિઓ અટકાવવા માટે છે. જોકે સ્વતંત્રતાના ઓથા હેઠળ અરજદાર કાયદાનું ઘોર ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ફોર્ટિસ હેલ્થકેર મામલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ માલવિંદર સિંહ અને શિવિંદર સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સેબીએ આ બંને ભાઈઓને ત્રણ વર્ષ માટે લિસ્ટેડ કંપનીમાં ચીફ મેનેજરિયલ સ્ટાફ તરીકે અથવા સેબીના કાર્યક્ષેત્ર હેઠળના મધ્યસ્થી તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.