કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઑને લઈને દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે ત્યારે સરકારે આ કાયદા બનાવતા પહેલા કોઈ ચર્ચા-વિચારણા ખેડૂતોના હિતધારકો સાથે કરી હતી કે નહીં તે મુદ્દે આરટીઆઇમાં ખુલાસો થયો છે.
કેન્દ્ર સરકારના મંત્રીઓએ કર્યા દાવા વિવિધ ચર્ચા વિચારણા કરાઈ
આરટીઆઇમાં સરકારના જવાબે મંત્રીઓની ખોલી પોલ
સરકારે આરટીઆઇના જવાબમાં કહ્યું આ મામલે કોઈ રેકોર્ડ જ નથી
સરકાર પોતે દાવા ઓ કરે છે તેના જ રેકોર્ડ નથી
કેન્દ્ર સરકાર દ્વારા સતત એવો દાવો કરવામાં આવે છે કે ત્રણ વિવાદાસ્પદ કાયદાને પાસ કર્યા પહેલા ઘણીવાર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હવે એક આરટીઆઇમાં તો ઊંધો જ જવાબ સામે આવી રહ્યો છે. આ કાયદામાં જે તે હિતધારકો સાથે વાતચીત કરવામાં આવી છે કે નહીં તે મુદ્દે કરવામાં આવેલ આરટીઆઇના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ મામલે કોઈ રેકોર્ડ છે નહીં.
મંત્રીઓના બણગા
સોમવારે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પોતાના ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે આ કાયદા મુદ્દે દેશમાં લાંબા સમયથી ચર્ચા કરવામાં આવી રહી હતી અને કેટલીક સમિતિઓના ગઠન બાદ દેશમાં ચર્ચા-વિચારણા બાદ કાયદા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે કૃષિ કાયદાના હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 1.37 લાખ વેબિનાર કરવામાં આવ્યા હતા અને 92.42 લાખ ખેડૂતોએ તેમાં ભાગ લીધો હતો.
આરટીઆઇના જવાબમાં થયો ખુલાસો
15 ડિસેમ્બરે NDTV દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી જેમાં ખેડૂતો સાથે થયેલ ચર્ચા વિચારણા વિશેની માહિતી માંગવામાં આવી હતી અને સરકારને પૂછવામાં આવ્યું છે કે શું સરકારે આ મુદ્દે કોઈ સલાહ-સૂચન લીધા હતા ? જે બાદ સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે આ મામલે કોઈ રેકોર્ડ જ નથી.