વરસાદની સીઝનમાં તંત્રએ રોડનું કામ હાથ ધરતા આશ્ચર્ય
રોડ બનાવવા માટે ખોદેલા ખાડામાં ભરાયા પાણી
પ્રજાના પૈસા ગયા પાણીમાં, લોકોમાં રોષ
ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ અદમ્ય સાહસ દર્શાવ્યું છે. વરસતા વરસાદ વચ્ચે તંત્રએ રોડનું કામ હાથ ધરતા અધિકારીઓ લોક રોષનો ભોગ તો બન્યા જ છે સાથે સાથે હાસ્યનું કારણ પણ બન્યા છે. જેને લઇને તંત્રના આ સાહસની ચર્ચા ભાવનગરના ચોરે અને ચોકે થઇ રહી છે.
ચોમાસાની ઋતુમાં રોડ ખોદીને નવા બનાવવામાં આવી રહ્યા છે
ભાવનગર મહાનગરપાલિકા આજ કાલ અદમ્ય સાહસ કરી રહ્યું છે. તેવામાં અધિકારીઓએ વધુ એક સાહસ કર્યું છે. ડામર અને પાણી બન્ને એક બીજાના દુશ્મન છે એ તમામ લોકો જાણતા હોય છે પણ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ આ વાતથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાવનગરના ગુરુકુલ અને ઘોઘા સર્કલ વિસ્તારમાં રોડ ખોદીને નવા બનાવવામાં આવી રહ્યા છે. આથી મહાનગરપાલિકાના અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કે પછી પ્રજાના પૈસાનો વેડફાટ કહી શકાય તેવો ઘાટ સર્જાયો છે. વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. તેવા સમયે રોડનું કામ હાથ ધરાયુ છે અને એટલું જ નહીં રોડ બનાવવા માટે મટીરિયલ પણ ઉતારી દીધું પણ કામ શરૂ કરે તે પહેલા વરસાદે તંત્રની પોલને છતી કરી છે.
40 કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન
ભાવનગરના ગુરુકુલ અને ઘોઘા સકાલ સહિતના અન્ય વિસ્તારમાં 40 કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન છે. આ માટે ટેન્ડર પણ આપી દીધા છે. પણ હવે શું ચોમાસું શરૂ થઈ ગયું છે. મનપાના અધિકારીઓને ચોમાસાના 4 મહિના છોડીને અન્ય સમયમાં રોડ બનાવવા માટે સમય જ ન મળ્યો એ નવાઈની વાત છે.વરસાદ શરૂ થતાં હવે પ્રજાના પૈસા પાણીની જેમ વેડફાઈ રહ્યા છે. હાલ રોડ બની શકે તેમ ન હોવાથી ખોદકામને લીધે લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે.
સ્થાનિકોને આગામી 3 મહિના સમસ્યાનો સામનો કરવો પડશે
રોડ બનાવવા માટે ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. લોકોને અવર જવર ક્યાંથી કરવી તે મોટો પ્રશ્ન બન્યો છે. ખાડા ખોદ્યા હોવાથી વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ નહીં થાય અને જો આમ જ રહ્યું તો સ્થાનિકોને આગામી 3 મહિના આ સમસ્યાનો સામનો કરવો પડશે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે અધિકારીઓ અને શાસકો આ પ્રકારના ટેન્ડર આપી દેતા હોવાની લોકોમાંથી રાવ ઉઠી રહી છે.