અહો આશ્ચર્યમ્. VTVના કોન્કલેવમાં સોમવારની બપોર સુધી કોંગ્રેસના ઠાકોર અગ્રણી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાતમાં આંદોલનના રાજકારણ પરની ચર્ચામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા હતા અને ઘણી બધી નિખાલસ વાતો કરી રહ્યા હતા.
અહો આશ્ચર્યમ્. વી ટીવીના કોન્કલેવમાં સોમવારની બપોર સુધી કોંગ્રેસના ઠાકોર અગ્રણી અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાતમાં આંદોલનના રાજકારણ પરની ચર્ચામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા હતા અને ઘણી બધી નિખાલસ વાતો કરી રહ્યા હતા. એ જ અલ્પેશ ઠાકોરના રાજકીય સ્ટેટસ વિશે કે પછીના માત્ર ર૪ કલાકના સમયગાળામાં અનિશ્ચિતતા સર્જાઇ છે અને બુધવારની સવાર સુધી તેઓ ભાજપમાં જોડાશે કે કેમ એ પણ સ્પષ્ટ થયું નથી, પણ કોંગ્રેસ છોડશે એ નિશ્ચિત છે.
વીટીવીના કોન્કલેવમાં આંદોલનોથી ગુજરાતને શું મળ્યું. ગુજરાતે શું ગુમાવ્યું તેની ચર્ચામાં કેટલાક મહત્ત્વના વિધાનો કર્યાં હતાં. આંદોલનોમાંથી જ નવું રાજકીય નેતૃત્વ નિર્માણ થાય છે એવા નિવેદન સાથે રાજનીતિમાં હોવા છતાં તેમનો પ્રયાસ તેમના ઠાકોર સમાજને વ્યસન જેવાં દૂષણોથી મુકત કરીને શિક્ષણ અને વિકાસના માર્ગે લઇ જવાના તેમના પ્રયાસની વાત કરી હતી.
ઠાકોર સેનાના માધ્યમથી સામાજિક ઝુંબેશ ચલાવનાર આ નેતાને આજે ઠાકોર સેના જ કોંગ્રેસ છોડવા અલ્ટિમેટમ આપે છે ત્યારે તેઓ સ્વયં સંપર્ક માટે ઉપલબ્ધ નથી અને સાંજ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ કરશે એવું જણાવાય છે.
અહીં મજાની વાત એ છે કે આ ઠાકોર સેના એ એક પ્રકારે અલ્પેશ ઠાકોરનું જ ફરજંદ છે અને એ જ ઠાકોર સેના આજે અલ્પેશને ઠાકોરને રાજકીય ભૂમિકા અંગે નિર્ણય કરવા અલ્ટિમેટમ આપે છે. સમજવા જેવી વાત એ પણ છે કે ઠાકોર સેનાની કોર કમિટી કહે છે કે કોંગ્રેસનું પદ છોડો અથવા ઠાકોર સેનાનું પદ છોડો. બે પદ પર ચાલુ રહી શકાય નહીં.
કોંગ્રેસમાં તો અલ્પેશ ઠાકોર પક્ષના ધારાસભ્ય છે અને એ કાંઇ પદ ન ગણાય. એટલે પક્ષ છોડવાનો છે કે ધારાસભ્ય પદ છોડવાનું છે એ સ્પષ્ટ થવાનું બાકી છે. જો તેમણે ભાજપમાં જોડાવું હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપવું પડે. અન્યથા કોંગ્રેસ છોડવા છતાં ધારાસભ્યપદે ચાલુ રહી શકે કે કેમ આને પક્ષપલટાનો નિયમ તેમને લાગુ પડે કે કેમ એ આખી અલગ બાબત છે.
વાત એવી છે કે કોંગ્રેસ નેતૃત્વ સામે તેમની નારાજી ચાલી આવે છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા બાબતે તેમના અભિપ્રાયને અવણવાનો પણ મુદ્દો છે. એટલે એવું પણ બને કે ઠાકોર સેનાની કોર કમિટી જે વાત કરે છે એ અલ્પેશના મનની જ વાત હોય અને બધું પૂર્વ યોજિત રીતે બની રહ્યું હોય એવું પણ બને. ઠાકોર સેનાના વર્ચસ્વનો પણ એક મુદ્દો છે.
ઠાકોર સમાજના અન્ય એક ધારાસભ્યે કોંગ્રેસ છોડવાનો ઇનકાર કરી દીધો છે. પણ અલ્પેશ ઠાકોર મૌન છે અને આ મૌન ઘણું કહી જાય છે. વી ટીવીના કોન્કલેવમાં બપોર પછીની ચર્ચા પક્ષ પલટા વિશે જ હતી અને તેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આગલા દિવસની સાંજે જે વાતનો ઇનકાર કરીને પક્ષપલ્ટાની કોઇ વાત જ ન હોવાનું કહેનાર આગેવાન બીજા દ્યિવસની સવારે તો બીજા પક્ષનો ખેસ ધારણ કરી લે એવું બને છે.
અહીં મીડિયામાં બેઠેલા લોકો ભલે પોતાને ચતુર અને ચાલાક સમજતા હોય પણ રાજકીય જમાતના લોકો હંમેશાં તેમનાથી અનેક ડગલાં આગળ રહે છે. રાજકારણીઓ મીડિયાને પૂછીને અથવા મીડિયાને જાણ કરીને આગળનું પગલું ભરશે એવું બનવાનું નથી. મીડિયાના લોકોને તો આશ્ચર્યજનક ઘટનાક્રમના સાક્ષી જ બની રહેવાનું આવે છે.
સોમવારના કોન્કલેવમાં પક્ષ પલ્ટાની ચર્ચામાં આદર્શની ઘણી સુફિયાણી વાતો થઇ, પરંતુ એ પછીના ૪૮ કલાકમાં જે બનવા જઇ રહ્યું છે એ વિશે માત્ર અનુમાન થઇ શકે છે. રાજકારણીઓની ચાલ અને ચરિત્રનેઆસાનીથી ઓળખી શકાતા નથી. તેમના ગણિત અને ઇતિહાસ-ભૂગોળ બધું જ અલગ હોય છે. રાજકારણીઓ જે આચરણ કરે છે તેને વિચારના વાઘા પહેરાવવામાં આવે છે. ગુજરાતના લોકોએ આવા ઘટનાક્રમના ફરી એક વખત સાક્ષી બનવાનું આવ્યું છે.