લોકસભાના અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ આમ તો આઠ રાજ્ય અને બિહારની આઠ બેઠકો સહિત કુલ પ૯ બેઠકો પર મતદાન થશે, પરંતુ બિહારમાં તમામની નજર ભાજપના રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા વચ્ચેના મુકાબલા પર છે. શત્રુઘ્ન સિંહાએ પક્ષ જરૂર બદલ્યો છે પણ બેઠક બદલી નથી.
બોલિવૂડના ‘શોટગન’ સિંહાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ભાજપ છોડવાના મારા નિર્ણયની જાણ જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને થઈ ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં, પરંતુ તેમણે મને પક્ષ છોડતો અટકાવ્યો ન હતો.
સિંહાએ કહ્યું કે જ્યારે મેં મારી રાજનૈતિક ઈનિંગ્સની નવી શરૂઆત કરવાનો ફેંસલો કર્યો ત્યારે મેં સૌથી પહેલાં અડવાણીજીના આશીર્વાદ લીધા હતા. તેમણે મને શુભકામનાઓ આપી ત્યારે તેઓ ખૂબ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં પણ તેમણે મને રોક્યો ન હતો. અડવાણીજીએ મને ફક્ત એટલું કહ્યું હતું કે ઠીક છે, હું તમને પ્રેમ કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કાર્યશૈલી અને કેટલાક નિર્ણયથી લાંબા સમયથી નારાજ શત્રુઘ્ન સિંહાએ આખરે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અટલબિહારી વાજપેયીજીના સમયમાં અને આજના સમયમાં જમીન-આસમાનનો તફાવત છે. એ સમયે દેશમાં લોકતંત્ર હતું અને આજે દેશમાં તાનાશાહી છે.
ભાજપ પોતાના વરિષ્ઠ નેતાઓ સાથે જ યોગ્ય વ્યવહાર કરતું નથી અને તેનું સૌથી મોટું ઉદાહરણ પક્ષના ‘ભીષ્મ પિતામહ’ ગણાતા અડવાણીજી છે. અડવાણી ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક હોવા છતાં પણ તેમને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી. તેમના સ્થાને અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિંહા છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મોદી-શાહની જોડી ઉપર આકરા પ્રહારો કરતા રહ્યા છે. પટણા સાહિબ બેઠક પરથી જ્યારે તેમની ટિકિટ કપાઈ ત્યારે પણ તેમણે મૌન સેવવાના બદલે ભાજપને છોડવાનો નિર્ણય કર્યો હતો.
પીએમ મોદી વારંવાર આ લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો જીતવાનો દાવો કરે છે ત્યારે શત્રુઘ્ન સિંહાએ આ મુદ્દે પણ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે હું જાણું છું કે આજકાલ ધનશક્તિ અને પ્રચારતંત્રનું જોર બહુ ચાલે છે. ધનશક્તિને હું જનશક્તિ પર હાવી થતી જોઈ રહ્યો છું અને મીડિયા પર પણ તેની અસર દેખાઈ રહી છે.
પ્રધાનમંત્રીનું નામ આજકાલ પ્રચારમંત્રી થઈ ગયું છે. તેઓ કહે છે કે ૩૦૦ બેઠક જીતી રહ્યા છે. શું તેઓ ચોરબજારમાંથી બેઠકો ખરીદશે? સમગ્ર દેશમાં મોદી સરકાર સામે હાહાકાર છે. આ સરકારે એક પણ વાયદા પૂરા કર્યા નથી. આમ છતાં પણ તેમનો દાવો ૩૦૦ બેઠકો જીતવાનો છે તો તેઓ કેટલીક બેઠકો ચોરબજાર અને ચાંદનીચોકમાંથી પણ ખરીદી લે, એ જ તેમના માટે સારું રહેશે.