એક તરફ ઓલ્ડ એજ હોમમાં રહેનાર વુદ્ધો હતા જેમને પોતાના પૌત્ર- પૌત્રી કે દોહિત્ર - દોહિત્રી સાથે સમય વિતાવવા નથી મળતો. બીજી તરફ એવા બાળકો હતા જેમને દાદા- દાદી, નાના- નાની કે માતા -પિતાનો પ્રેમ નથી મળી રહ્યો. જ્યારે વૃદ્ધાશ્રમમાં આ નાના ભૂલકાઓ અને વૃદ્ધો સામ સામે આવ્યા ત્યારે એવા દ્રશ્યો સર્જાયા કે જોનારાઓની આંખો ભીજાઈ હતી.
બાળકો અને વૃદ્ધો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
નારણપુરા સ્થિત જીવન સંધ્યામાં યોજાયેલા એક કાર્યક્રમમાં બન્યુ એવું કે
અમદાવાદના નારણપુરા સ્થિત જીવન સંધ્યામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એક 3 મહિનાની દીકરીના એડોપ્શનનો કાર્યક્રમ હતો. ત્યારે પાલડી શીશુ ગૃહની 3 મહિનાની બાળકીને કલકત્તાનું એક દંપતી એડોપ્ટ કરવા આવ્યું હતુ. જેને પગલે પાલડી શીશુગૃહે નારણપુરા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં જ્યારે પાલડી શીશુ ગૃહના નાના બાળકો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધો સામ સામે આવ્યા તો બન્ને એકબીજાને જાણે વર્ષોથી ઓળખતા હોય અને વર્ષોથી અળગા રહેતા હોય પણ મળવા માટે તરસી રહ્યાં હોય એવું લાગ્યું હતું. તેમજ વૃદ્ધ અને બાળકો વચ્ચે જૂની આત્મિયતા હોય તેમ એકબીજાને વળગી પડ્યા હતા.
જાણે દાદા - પૌત્રનું મિલન થઈ રહ્યું હોય એમ બન્ને એક બીજાને ભેટી પડ્યા હતા. જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટિ ડિમ્પલ શાહનું કહેવું છે કે આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે આ સિનિયર સિટીજન તેમના પૌત્ર- પૌત્રીઓને સ્પર્શવા તડપતા હોય છે જેથી આ બાળકોને મળી તેમની આ લાગણી અને વ્હાલને વહેવડાવવાનો મોકો મળી શકે. ઉલ્લેખનીય છે કે કલકત્તાના એક દંપતીએ આ કાર્યક્રમમાં પાલડી શીશુ ગૃહની 3 મહિનાની બાળકીને દત્તક લીધી હતી.