શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ.
આયુર્વેદ થકી રહો સ્વસ્થ
વહેલા સૂવાથી રહેવાય સ્વસ્થ
કોરોનાકાળમાં અપનાવો આ ઉપચાર
આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલિશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું. આજની ભાગદોડ ભરી જિંદગીને જોતાં આપણે રોજ આ બધું ન કરીએ તો પણ અઠવાડિયામાં એક વાર કે પખવાડિયામાં એક વાર કરીએ તો ચાલે.
પહેલી શરત વહેલાં સૂવું
આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલાં સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડા સાડા દસથી અગિયાર વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારના સાડા ચાર-પાંચ વાગ્યે ઊઠી જવું. આખો દિવસ ખૂબ જ ફ્રેશનેસ અનુભવાશે એની ગેરન્ટી.
પેટ સાફ તો સબ દર્દ માફ
સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું. પેટ સાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે છે. મળમૂત્રનો ઉત્સર્ગ થાય તો શરીરમાં હળવાશ અનુભવાય છે તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજિયાત રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ સહેજ હૂંફાળા પાણી સાથે લઈ લેવું, સાથે જ રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું. સવારે ઊઠીને એકથી બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.
દાંતની સફાઈ
ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે એટલે પેઢાં અને દાંત સ્વચ્છ હોવાં જરૂરી છે. બ્રશ કરવાના બદલે દાતણ કરવું વધુ હિતકર છે. એ માટે લીમડો, આવળ, બાવળ અથવા કરંજની ડાળીનો ટુકડો વાપરી શકાય છે. આ વનસ્પતિઓ કડવા, થોડા તીખા અને તૂરા રસવાળી હોવાથી મોઢામાં રહેલ કફ એટલે કે ચીકાશને દૂર કરે છે અને યોગ્ય માત્રામાં લાળનો સ્રાવ કરે છે. ખોરાકમાં લાળ ભળે તો જ એનું યોગ્ય પાચન થાય છે. કોગળા કરતી વખતે મોઢામાં પાણી ભરી પછી આંખ પર છાલક મારવી.