સાબરમતી નદી પ્રદૂષિત હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા વહીવટી તંત્રને વેધક સવાલો કર્યા કે, 400 કરોડની ફાળવણી છતાં અમદાવાદની સાબરમતી નદી આટલી પ્રદૂષિત કેમ ?
ગાંધી તેરી સાબરમતી મૈલી ક્યોં ?
GPCB ગુજરાત હાઈકોર્ટ સામે ગે..ગે..ફેં..ફેં
પ્રદૂષિત સાબરમતી મુદ્દે હાઈકોર્ટે લાલઘૂમ
'દે દી હંમે આઝાદી બીના ખડગ બીના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા' આ પંક્તિ ભલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પિત કરાઈ હોય પરંતુ, તેમાં સાબરમતીનો પણ મોટો ફાળો ગણાવાયો છે.આ જ સાબરમતી નદી પ્રદૂષિત હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા વહીવટી તંત્રને વેધક સવાલો કર્યા છે કે, 400 કરોડની ફાળવણી છતાં અમદાવાદની સાબરમતી નદી આટલી પ્રદૂષિત કેમ છે ?
કેન્દ્રએ પાણીની જેમ વહાવ્યા પૈસા
કેન્દ્ર સરકારે 'નમામિ ગંગે'પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયા ગંગાના શુદ્ધિકરણ માટે ફાળવ્યા છે.ગંગા નદી બાદ અમદાવાદની સાબરમતી નદી માટે સૌથી વધુ નાણા ફાળવાયા છે છતાં સાબરમતી નદી પ્રદૂષિત રહી છે.આવો સવાલ કરતા ગુજરાત હાઈકોર્ટે એમ પણ પૂછ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને પોતાની કામગીરીનો ખ્યાલ છે કે નહિ ? કોર્ટ મિત્રએ, રજૂ કરેલા એક તપાસ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સાબરમતી નદીનું દૂષિત પાણી ત્રણ જેટલા ગામોમાં સિંચાઈ માટે વપરાઈ રહ્યું છે.
આવા પ્રદૂષિત પાણીથી થતી હશે ખેતી ?
હવે જરા એ પણ વિચારો કે, અમદાવાદ નજીક શાક-ભાજીની ખેતી થતી હોય અને સાબારમતીનું દૂષિત પાણી આ ખેતીમાં વપરાતું હોય તો એ નાગરીકો દૂષિત પાણીથી શાક-ભાજી ઉગાડતા હોય અને પોતાના શાક-ભાજી જ્યાં વેંચતા હોય તેવા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે અજાણ્યે જ ચેડા થઈ રહ્યા છે.કદાચ ખેડૂત દૂષિત પાણીથી અજાણ ના હોય પણ નાગરીકો સંપૂર્ણપણે બે-ખબર છે. સાબરમતીનું આ પાણી ખંભાત સુધી દૂષિત રીતે પ્રસરી ગયું છે.તપાસ રીપોર્ટનાં ખુલાસાથી હાઈકોર્ટે વહીવટી તંત્ર સામે નારાજગી દર્શાવી છે.તો ગુજરાત હાઈકોર્ટે મીરોલી પિયત સહકારી મંડળીને સાબરમતીનું પાણી સિંચાઈ કે ખેતી માટે ન વાપરવા અંગેની સૂચના પણ આપી દીધી છે.
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું અને કહ્યું કે જે સાબરમતીનું પાણી 1948માં પીવાલાયક હતું તેમાં એટલો બદલાવ આવ્યો છે કે હવે 2021માં આ સાબરમતીનું પાણી કોણ પીવા તૈયાર થાય.
જજ પણ લઈ શકે છે વિઝિટ
સત્તાની ટોચે બેસેલા અધિકારીઓ કેમ એકમોને છાવરે છે તેવો વેધક સવાલ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ અગાઉ 25 ઓગસ્ટના રોજ પણ સાબરમતી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે GPCB અને તંત્રને ફટકાર લગાવી હતી. અધિકારીઓ પર ભરોસો ન રાખતા હવે ખુદ જજ પણ કરી સાબરમતી નદીમાં થતાં પ્રદૂષણને રોકવા સાબરમતી નદીની વિઝિટ લઈ શકે છે. કોર્ટે પહેલાથી જ કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ તપાસ માટે નિમણૂક કરી દીધી છે ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોર્ટ મિત્ર સાથે જજ પણ આવા એકમોની વિઝીટ કરી શકે છે સાથે જ જે એકમો પ્રદુષિત પાણી છોડે છે તેનું નિરીક્ષણ કરવા કોર્ટ મિત્રને છૂટ કોર્ટ તરફથી આપી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 2014માં 400 કરોડની ફાળવણી કરી
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો હતો. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો 400 કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.