તાપીમાં આદિવાસી સમાજનો વિરોધ યથાવત, નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ રદ કરવા શ્વેતપત્ર બહાર પાડવા બાબતે પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા
નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટનો વિવાદ
શ્વેતપત્ર બહાર પાડવા આદિવાસી સમાજની માંગ
પીએમ મોદીને 1111પોસ્ટ કાર્ડ લખી કરશે રજૂઆત
નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસી વિરોધના પગલે અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં આ પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તે બાદ પણ આ પ્રોજેક્ટને લઇને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે તાપીના સોનગઞમાં રેલી બાદ આદિવાસી સમાજ દ્વારા સંમેલન યોજીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે.
'શ્વેતપત્ર બહાર પાડો'
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરાયો પરંતુ આદિવાસીઓનો વિરોધ શમ્યો નથી. આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર આદિવાસી સમાજ રોષે જોવા મળ્યો હતો. સોનગઢમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની માગ સાથે રેલી બાદ આદિવાસી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેઓની બસ એક જ માંગ છે કે આ પ્રોજેક્ટ રદ કરવા અંગેનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. રિવર લિંક ઉપરાંત વેદાંતા હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટનો પણ આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યા છે.
પીએમ મોદીને લખ્યા 1111 પોસ્ટકાર્ડ
આદિવાસી સમાજની રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યુ હતું. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ રદ્દ કરવા મામલે તેઓ આકરા પાણીએ જણાયા હતા. છેલ્લા ઘણા સમયથી શ્વેતપત્રની માગ કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતા હવે આ મામલે પીએમ મોદીને 1111 પોસ્ટકાર્ડ લખ્યા હતા..
28માર્ચે પ્રોજેક્ટ સ્થગિત કર્યાની કરી હતી જાહેરાત
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો 28 માર્ચે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇપણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો હતો,.