ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા કોરોના કેસોથી બાળકો પર ખતરો વધ્યો છે. ત્યારે જાણો કોરોના કેસ અને બાળકોની સુરક્ષા અંગે અધિક મુખ્ય સચિવે શું કહ્યું...
અધિક મુખ્ય સચિવે જણાવી રણનીતિ
ટેસ્ટ વધ્યા એટલે કેસ વધ્યા: અગ્રવાલ
શાળાઓની સ્થિતિ પર ખાસ નજર: અગ્રવાલ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ત્યારે ગઇકાલે રાજ્યમાં કોરોનાના 548 કેસ નોંધાયા હતા, જ્યારે 19 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધતા કોરોનાના કેસ મામલે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે VTV સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે.
મનોજ અગ્રવાલે કહ્યું કે, ટેસ્ટિંગ વધારવાના કારણે કોરોના કેસ વધ્યા છે. અમર્યાદિત સંખ્યામાં ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. શાળાઓમાં કોરોનાના કેસ પર નજર રખાઈ રહી છે. શાળાઓમાં સંક્રમણ વધશે તો નિર્ણય લેવાશે.
કોરોના મામલે સરકારની કેવી છે તૈયારી? જાણો અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શું આપ્યો જવાબ
બીજો ડોઝ લેનારની સંખ્યા?
થોડા દિવસ પહેલા બીજો ડોઝ લેવામાં બાકી લોકોની સંખ્યા 65 લાખ હતી તે ઘટીને 25-26 લાખ પર આવી છે. એટલે ઝડપથી વધુમાં વધુ લોકોને બીજો ડોઝ મળે તે માટેનો પ્રયાસ ચાલુ છે.
ટેસ્ટિંગ વધાર્યું એટલે કેસ વધ્યા
જે લોકો કોરોનાનું સંક્રમણ પોઝિટિવ આવે છે, તેનું એક કારણ એ છે કે ટેસ્ટિંગ વધાર્યું છે, પહેલા 55-60 હજાર થતી તે વધારીને 70-75 હજાર કર્યું છે. તેની સૂચના આપવામાં આવી છે કે અર્માદીત રાખો. રાષ્ટ્રીય ટેસ્ટિંગના નિયમો પ્રમાણે પણ અમે આગળ વધી રહ્યા છીએ.
ઓમિક્રોન ટેસ્ટિંગ અંગે માહિતી
જિનમ સિકવન્સ માટે ગુજરાત બાયોલોજિક રિસર્ચ સેન્ટર છે ત્યાં પણ અમે સેમ્પલ મોકલીએ છીએ. જેથી ઓમિક્રોન અથવા નવો કોઈ વેરિયન્ટ ન આવી જાય તે જાણ થાય છે, એક કિટ પણ તૈયાર કરી છે. જેનાથી ખ્યાલ પડે છે કે તે વેરિયન્ટ ઓમિક્રોન છે કે નહીં.
15-18 વર્ષના બાળકોને વેક્સિન આપીશું
શાળાઓમાં જઇને ટીમો મોકલીને, શિક્ષણ વિભાગના સંપર્કમાં રહીને અમે 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપીશું. જે શાળા બહારના બાળકો છે આઇટીઆઇમાં છે, દિવ્યાંગ સંસ્થાઓમાં છે, શાળામાંથી ડ્રોપ આઉટ થઇ ગયા છે અને ઘર છે અથવા કોઇ જગ્યાએ કામ કરતા હોય તેમને અમે વેક્સિન આપવાનું શરૂ કરીશું.
બાળકો પરિવારના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે સાવચેતી
બાળકો પર પણ સતત નજર રાખવામાં આવે છે કે તેમાં કોઇ લક્ષણ તો દેખાતા નથીને, જો બાળકો કોઇ જગ્યાએ ટ્રાવેલિંગ કર્યું હોય તો તેના પર પણ નજર રાખવામાં આવે છે. બાળકોને જ્યારે સંક્રમણ થાય છે તો તેના લક્ષણો હળવા હોય છે, પરંતુ તે ઘરમાં બીજા સભ્યોને સંક્રમિત કરી શકે છે. જો શાળાઓમાં સંક્રમણ વધશે તો નિર્ણય લેવાશે.
વાઈબ્રન્ટ સમિટ માટે ખાસ SOP તૈયાર કરાશે
વાઈબ્રન્ટ સમિટ માટે ખાસ SOP તૈયાર કરાશે. ઉદ્યોગ વિભાગ કેન્દ્ર સરકારના વિદેશ, સ્વાસ્થ્ય અને અહીંનું આરોગ્ય વિભાગ મળીને એસઓપી તૈયાર કરશે. અહીં આવે તો બીજાને પણ ચેપ ન પ્રસેર તેની સાવચેતી ઉદ્યોગ વિભાગ લેશે. વિદેશ મંત્રાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય સાથે સંકલન રાખીશું.
3 જાન્યુઆરીથી બાળકોને અપાશે વેક્સિન
દેશમાં 15થી 18 વર્ષ સુધીના બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિન અપાશે. બાળકોને ઝડપથી ડોઝ કેવી રીતે આપવામાં આવે તે અંગે ચર્ચા થઈ. પહેલી તારીખથી બાળકોને રસી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. શિક્ષણ વિભાગના સહયોગથી શાળામાં જઈને વેક્સિન આપવામાં આવશે. શાળામાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે જણાવ્યું કે 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવામાં આવશે. તેના માટે આખો પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત હવે હેલ્થકેર વર્કર અને 60થી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. જેમાં બીજો ડોઝ લીધાના 39 સપ્તાહ પૂર્ણ થયા હોય ત્યાર બાદ જ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ 60થી વધુ ઉંમરના 13 લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.