ઈરફાન ખાનના અચાનક નિધનથી બોલિવૂડ આઘાતમાં છે. ઈરફાન લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. ત્યારે લોકડાઉનની વચ્ચે તેમના અંતિમ સંસ્કાર માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ તેમની અંતિમ યાત્રમાં 20 લોકોને સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ઈરફાન ખાનને મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અંતિમ સંસ્કારમાં તેના પરિવારના પાંચ લોકોને કબ્રસ્તાનની અંદર જવાની પરવાનવી મળી હતી.
મુંબઈ પોલીસની હાજરીમાં એક્ટરના પાર્થિવ શરીરને બપોરે 3 વાગ્યે સુપર્દ-એ-ખાક કરવામાં આવ્યો છે. ઈરફાન ખાનની દફનવિધિમાં પરિવાર, નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા.
પરિવારના સભ્યો સિવાય બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ અને તિગ્માંશુ ધૂલિયા પણ ઈરફાનની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા. આ બંને માસ્ક પહેરીને ત્યાં પહોંચ્યા હતા. બૉલીવુડ ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા હોસ્પિટલની બહાર ઈરફાનની ફેમિલી સાથે પણ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે તિગ્માંશુ ધૂલિયાએ ઈરફાન ખાન સાથે સુપરહીટ ફિલ્મ 'પાનસિંહ તોમર' બનાવી હતી.
આટલા મોટા ઍક્ટરનો આટલો નાનો જનાજો જોઈ દુઃખ થયું
ફિલ્મ મેકર તિગ્માંશુ ધૂલિયાએ કહ્યું હતું કે ફિલ્મ જગતના આટલા મોટા ઍક્ટરની આટલી નાની અંતિમ યાત્રા જોઈને દુઃખ થયું છે. મુંબઈમાં રહેવા છતાંય તે અંતિમ યાત્રામાં જઈ શક્યા નહીં અને તેનું તેમને ઘણું દુઃખ છે. ઉલ્લેખનીય છે કે ઈરફાને તિગ્માંશુ સાથે ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન’, ‘પાન સિંહ તોમર’, ‘હાંસિલ’, ‘ફૂસરત મૈં’, ‘એક શામ કી મુલાકાત’, ‘ભરોં કી ખાલિયા ફૂલ’ તથા ‘નયા દૌર’માં સાથે કામ કર્યું છે.
મુંબઈ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ઈરફાનના પાર્થિવ દેહને કોકિલાબેન હોસ્પિટલથી કબ્રસ્તાન લાવવામાં આવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને કારણે ઈરફાનની અંતિમ વિદાયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોથી લઈને મીડિયા અને ફેન્સને પણ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ સમય દરમિયાન ભીડ એકઠી ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.