રખડતાં ઢોર પર કાર્યવાહી બાદ હવે AMCનો મોટો નિર્ણય, હવે જાહેરમાં ઘાસચારો વેચનાર સામે પણ થશે કડક કાર્યવાહી
ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી થશે
AMCની કમિટીમાં થઇ ચર્ચા
અધિકારીઓને કડક સુચનોઓ અપાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી બેઠકમાં રખડતા ઢોર અને જાહેરમાં વેચાતા ઘાસચારા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની કમિટીમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ બાબતે ચર્ચા થઈ છે. મંદિર નજીક ઘાસચારાના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામા આવ્યા છે. તેમજ શહેરની વચ્ચે અનેક જગ્યાએ ઊગેલ ઘાસચારાનો નાશ કરવાના આદેશ પણ અધિકારીઑને આપી દેવામાં આવ્યા છે.
કેમ લેવાયો નિર્ણય?
ગુજરાતના નાનાથી માંડી મોટા શહેરોમાં રખડતા ઢોરથી નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. એકાદ મહિના પહેલા આખરે સી આર પાટીલ એક જાહેર કાર્યક્રમમા મનપાને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા તંત્ર એક્શનમા આવ્યું હતું અને કાર્યવાહી કરી અનેક રખડતા ઢોરને પકડી વ્યવસ્થા કરેલી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
પણ હજુ પણ કેટલીક એવી નજીવી બાબતો છે જે રખડતા ઢોરને નિયત્રિત કરવા માટે જરૂરી છે આથી આજે મળેલી બેઠકમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે મંદિર તેમજ અન્ય જગ્યાએ, જાહેરમાં વેચાતો ઘાસચારો લઈ પશુઓને ખવડવામાં આવતા અનેક જગ્યાએ ટ્રાફિકની મોટી પરેશાની સામે આવી હતી. પહેલા રખડતા ઢોર પર નિયંત્રણ અને હવે જાહેરમાં ઘાસચારાના વેચાણ પર મનાઇ કરવામાં આવતા આવનાર દિવસોમાં ગુજરાતના શહરોમાં રખડતાં ઢોર પર કાબૂ મેળવી લેવાય તો નવાઈ નહીં.