સિનિયર ડોક્ટરો ઘરનું શાકભાજી લેવા મોકલતા હોવાની ફરિયાદ બાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે એક પરિપત્ર બહાર પાડ્યો.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે પરિપત્ર બહાર પાડ્યો
જુનિયર ડૉક્ટરો પાસે હવે નિયમ વિરુદ્ધ કામ નહીં કરાવી શકાય
જો ફરિયાદ મળશે તો જે-તે HOD કે સિનિયર ડૉક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો નિયમ વિરુદ્ધ રેસિડન્ટ ડોક્ટરો પાસે પર્સનલ કામ કરાવતા હોવાના વિવાદને લઈને હવે સિવિલ ઓથોરીટીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં તેઓએ જણાવ્યું છે કે, 'તમામ વિભાગના HOD કે સિનિયર ડોક્ટરો પહેલાંથી ત્રીજા વર્ષ સુધીના જુનિયર ડૉક્ટરો પાસે નિયમ વિરુદ્ધ કોઈ કામ કરાવી શકશે નહીં.'
કોઇ પણ ફરિયાદ મળશે તો જે-તે HOD કે સિનિયર ડૉક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
મહત્વનું છે કે જુનિયર ડોક્ટર્સની એવી ફરિયાદ હતી કે, રેસિડન્ટ ડોક્ટરોએ HOD કે સિનિયર ડોક્ટરોના ઘરનું શાકભાજી લેવા જવું પડે છે તેમજ તેમની પત્ની અને બાળકોને પણ મૂકવા જવું પડે છે. જો કે તેઓ સિનિયરોના ડરના કારણે ખુલીને સામે આવી શક્યા નથી. જો કે તેમની પરેશાની મહદઅંશે ઓથોરીટી એક્શનમાં આવતા સોલ્વ થશે તેવી આશા સેવી રહ્યાં છે. સિવિલ Superintendent રાકેશ જોષીએ જણાવ્યું કે, 'રેસિડન્ટ ડૉક્ટરો પાસે કોઈ પણ પ્રકારનું નિયમ વિરુદ્ધ કામ કરાવવામાં આવશે અને તેની ફરિયાદ મળશે તો જે તે HOD કે સિનિયર ડૉક્ટર સામેની ફરિયાદને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.' સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે તમામ ક્લિનિકલ વિભાગના વડાઓને આ પરિપત્ર મોકલી આપ્યો છે. આ ઉપરાંત બી.જે. મેડિકલ ડીન અને પી.જી. ડાયરેક્ટરને પણ તેની નકલ મોકલી આપવામાં આવી છે.
પ્રાઈવેટ પ્રેક્ટિસના કારણે 50 ટકાથી વધુ સિનિયર્સ ડૉક્ટર્સ હાજરી પૂરતા નથી
વધુમાં જણાવી દઇએ કે, પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, 'પ્રાઈવેટ પ્રેક્ટિસના કારણે 50 ટકાથી વધુ સિનિયર્સ ડૉક્ટર્સ હાજરી પૂરતા નથી. પરંતુ હવે તેમણે સમયસર ફરજ પર આવવાનું રહેશે. જો કોઈ પણ વિભાગના સિનિયર ડૉક્ટર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ મળશે તો કાર્યવાહી માટે સરકારને જાણ કરવામાં આવશે.'