મોટા શહેરોમાં રખડતા પશુઓનો ત્રાસ અવાર નવાર જોવા મળતો હોય છે તેના કારણે કેટલીક વાર સામાન્ય નાગરિકો જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, ત્યારે વડોદરા શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પશુઓને રખડતા મુકવાને લઇ પાસાની કાર્યવાહી
જાહેર માર્ગ પર રખડતા પશુને લઇ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે, પશુઓને રખડતા મુકવાને લઇને પશુપાલક સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છાણી વિસ્તારમાં રોહિત ભરવાડ અને નવાપુરાના દિનેશ રબારીને પાસા સજા સંભળાવવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયામાં રખડતા પશુથી 5 અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં અકસ્માતમાં કુલ 12 લોકો ઘાયલ થયા છે.
છેલ્લા એક અઠવાડિયામાં રખડતા પશુથી 5 અકસ્માત
ગઈ કાલે પણ વડોદરામાં રખડતા પશુને કારણે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. નાગરવાડા વિસ્તારમાં દિવ્યાંગ યુવકને ગાયે શિંગડુ મારતા યુવક બેભાન થયો હતો યુવકરામદેવપીર મંદિરથી આગળ ચાલીને જઇ રહ્યો હતો તે દરમિયાન રખડતી ગાય આવી ચઢી હતી અને યુવક પર હુમલો કર્યો હતો. છેલ્લા 17 દિવસમાં રખડતા ઢોરના કારણે 7 જેટલા બનાવ સામે આવ્યા છે. જે બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે જેને લઈને રખડતા ઢોરનો ત્રાસ વધતા પશુઓના માલિકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.