ડાયાબિટીસ એક એવી બિમારી છે, જેનાથી ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો સતત પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકો હજી સુધી ડાયાબિટીસનો કાયમી ઉપચાર શોધી શક્યા નથી. એવામાં બચાવની સૌથી સારી રીત છે કે તમે તમારા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખો. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના વ્યાપને અંકુશમાં લાવવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
આરોગ્ય કર્મચારીઓને અપાશે તાલીમ
રાજ્યમાં ડાયાબિટીસની જાહેર આરોગ્ય પડકાર તરીકે સારવાર આપશે. ડાયાબિટીસ સામે લડવા માટે બહુપક્ષીય વ્યૂહરચના બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોને ગ્લુકોમીટર અને ડાયાબિટીસની તપાસ માટેના સાધનો અપાશે. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓને આ સાધનોના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.
લોકોને માહિતગાર કરવા રાજ્યવ્યાપી શરૂ કરાશે કાર્યક્રમો
આ ઉપરાંત લોકોને ડાયાબિટીસના રોગ અંગે માહિતગાર કરવામાં આવશે. આ માટે રાજ્યવ્યાપી જાગૃતિ અને શિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. ડાયાબિટીસને લઈ સરકારના વાર્ષિક વિચાર-મંથન સત્રમાં વિચાર-વિમર્શ કરાશે. આ રોગ સામે લડવાની વ્યૂહરચના ઘડવાની રીતો પર પણ વિચાર-વિમર્શ કરાશે.
ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોને પણ સાધનોથી કરાશે સજ્જ
નર્મદાના એકતાનગર ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં પણ મંત્રીઓ, અધિકારીઓ દ્વારા ડાયાબિટસની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી ડાયાબિટીસની તપાસ માટે આરોગ્ય કેન્દ્રોને સાધનોથી સજ્જ કરાશે.
ચિંતાજનક રીતે વધી રહ્યા છે ડાયાબિટીસના દર્દીઓ
આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એની પાછળ આપણી ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતો નથી. એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં 20 થી 70 વર્ષની વયજૂથના કુલ 8.7% લોકો ડાયાબિટીસથી પીડિત છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. પણ આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ છે. જેથી તેના વિશે જાગૃતતા લાવવા દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.
ઘણા કારણોસર થાય છે ડાયાબિટીસ
નિષ્ણાતો કહે છે કે, ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલની બીમારી છે અને ભારતમાં આ બીમારી મહામારીનું રૂપ લઈ રહી છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે અને આવી સ્થિતિમાં તેનાથી બચાવવાની રીતો પણ અલગ છે. એક્સપર્ટસ મુજબ શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન બનવાને કારણે ડાયાબિટીસ થાય છે. આ જેનેટિક, વધતી ઉંમર અને ચરબીને કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ વ્યક્તિએ તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું જોઈએ. સ્વ-નિરીક્ષણ પણ જરૂરી છે અને આ સાથે સાથે ખાવામાં પણ ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત ફેટ અને કાર્બોહાઇડ્રેટનું સેવન ન ન કરવું સાથે જ જો ચરબી વધી રહી છે તો તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ છે ડાયાબિટીસના લક્ષણો
- વારંવાર તરસ લાગવી
- વજન ઘટી જવું
- ખૂબ ભૂખ લાગવી
- શરીરમાં નબળાઈ લાગવી
- વારંવાર પેશાબ આવવું