સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલા મામલે પોલીસ વિભાગ આકરા પાણીએ છે આજે મોડી ફરિયાદ લેનાર સરથાણા PI એમ કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરવામાં આવી છે.
સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલાના મુદ્દે વિરોધ
મોડી ફરિયાદ લેનાર સરથાણા PI ની બદલી
રાજકોટમાં પણ વકીલોએ યોજી રેલી
તાજેતરમાં સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબી સુપર વાઈઝરે હુમલો કર્યો હતો. આ બનાવનો વિડીયો વાઈરલ થતા રાજ્યભરના વકીલ આલમમાં ઘેરા પડઘા પડયા છે.આ પ્રકરણ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે એક ઝાટકે 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવામાં આવ્યા બાદ આજે આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણા PI ની બદલી કરી દેવામાં આવી છે. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા છે. આ ઉપરાંત એમ કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવામાં આવી છે. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા અને સરથાણા PI તરીકે વી એલ પટેલને ફરજ સોંપવાંમાં આવી છે.
સુરતમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વકીલોએ કાઢી રેલી
સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાને લઈને વકીલ આલમમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. ત્યારે આજે સુરતમાં વકીલો દ્વારા કોર્ટ સંકુલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. જેમાં વકીલોએ બેનર અને પ્લેકાર્ડ સાથે રેલી સૂત્રોચ્ચાર કર્યા હતા.આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી.
રાજકોટ-મહેસાણામાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન
બીજી તરફ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હીચકારા હુમલાને રાજકોટ બાર એશોસીએશનને વખોડી કાઢ્યો હતો અને આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ માંગ ઉઠાવી હતી તથા આરોપીઓ તરફે કોઈ પણ વકીલે નહી રોકાવવા માટે અનુરોધ કર્યો હતો. જેને પગલે આજે એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી વકીલો અલીપ્ત રહ્યા હતા. વધુમાં રાજકોટ સિવીલ કોર્ટના મુખ્ય ગેટ પાસે ધરણા અને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આજે વકીલો એ કોર્ટ કામનો બહિષ્કાર કર્યો હતો. જેથી કામગીરી ખોરવાઈ હતી. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો કર્યા હતા તેમ જ સાજન ભરવાડ આ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આ તકે તેમણે વકીલ પ્રોટેક્શન બિલની પણ માંગ કરી હતી તેમણે કહ્યું હતું કે વકીલ પ્રોટેક્શન બિલનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી એરણે ચડ્યો છે ત્યારે તાત્કાલિક તેમનો ઉકેલ આવે અને વકીલો જે પણ પ્રોટેક્શન મળે તેવી માંગ રાજકોટ બાર એસો.એ કરી હતી.
મહત્વનું છે કે બે દિવસ અગાઉ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના નેજા હેઠળ તોરણ વાળી ચોકથી ફુવારા થઈ વિશાળ રેલી યોજાઇ હતી. રેલી દરમિયાન વકીલોએ બેનરો લઇ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેહુલ બોધરાને ન્યાય આપોની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.