વડોદરા મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કમિશનર અજય ભાદુએ મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને નોટિસ ફટકારી છે. ભ્રષ્ટાચારના મામલે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારીને સસ્પેન્ડ કેમ ન કરવા તેનો જવાબ માગ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહીને લઈને અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, અજય ભાદુએ પાણીના મીટરમાં કૌભાંડ મામલે કાર્યવાહી કરી હતી અને વિજિલન્સ રિપોર્ટના આધારે કમિશનરે અધિકારીઓને નોટિસ ફટકારી હતી. અજય ભાદુ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો એકી સાથે 17 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં પાણી મીટર કૌભાંડ મામલે 8 સામે કાર્યવાહી કરવામાં આવી છે. રોડમાં ડામર ખરીદીના ખોટા બીલ માટે 7 અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. કમાટીબાગમાં જાપાનીઝ ગાર્ડનમાં ગેરરીતી માટે 2 અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે.
મનપા કમિશનર દ્વારા 7 અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. 3 અધિકારીઓને ચાર્જશીટ આપી ભારે કાર્યવાહીની નોટિસ ફટકારી છે તો 7 અધિકારીઓને ચાર્જશીટ આપી તેમની સામે ખાતાકીય તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા છે.