બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આજે 12 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ બાદ કાર્યવાહી
પોલીસ કર્મચારી સામે કાર્યવાહી
12 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા કથિત લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો છે. 43 લોકોને ભરખી જનારા લઠ્ઠાકાંડને લઈને આખું ગુજરાત થરથરી ગયું છે. ત્યારબાદ સરકાર પોલીસ અધિકારી-કર્મચારીઑ સામે એક્શન લેવાનું શરૂ કર્યું છે જે આજે પણ યથાવત રહેતા LCB અને SOGના વધુ 12 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જિલ્લાના 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરી ફરજ સોંપવામાં આવતા આ બદલી ચર્ચાનું કારણ બની છે. નોંધનીય છે કે આ અગાઉ અમદાવાદ ગ્રામ્યના વિરેન્દ્ર યાદવ તથા બોટાદના જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય DYSP સહીતનાઑને કરાયા હતા સસ્પેન્ડ
ગઇકાલે આ સિવાય અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 SP કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ ગઇકાલે સસ્પેન્ડ કરાયા છે.
લઠ્ઠાકાંડમાં 43 લોકો મોતના મુખમાં ધકેલાયા
બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકો મોતના મુખમાં ધકેલાયા છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.મહત્વનું છે કે લઠ્ઠાકાંડ બાદ પોલીસે જપ્ત કરેલા દારૂનો FSL રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો હતો કે આરોપીઓએ દારૂના નામે લોકોને કેમિકલ પીવડાવી દીધું હતું. કારણ કે K અને Lના નમૂનામાં મીથાઈલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું હતું. જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં 0 પ્રમાણ આવ્યુ હતું જે બાદ કેમિકલ કાંડમાં કાવતરું થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.