રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ પહેલામાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આરટીઈમાં ત્રણેય રાઉન્ડના અંતે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થતાં શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને હવે ઓનપેપર ગરીબ બનેલા વાલીઓને શોધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
કારમાં ફરતા વાલીઓ ઓનપેપર ગરીબ બન્યા હોવાની આવી ફરિયાદ
ગરીબ બનેલ વાલીઓને શોધી કડક કાર્યવાહી કરવાનો આદેશ
દિવાળી વેકેશન બાદ આ અંગે તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું
લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા આદેશ
નર્સરી, જુનિયર અને સિનિયર કે.જીમાં મસમોટી ફી ભરનારા તથા ઘરમાં એસી રાખતા અને કારમાં ફરતા વાલીઓ ઓનપેપર ગરીબ બન્યા હોવાની આવી ફરિયાદ શિક્ષણ વિભાગને મળી છે. જેને કારણે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીએ ઓનપેપર ગરીબ બનેલ વાલીઓને શોધી કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. તે સાથે ખાનગી શાળાના સંચાલકોને પણ આવા વાલીઓને શોધીને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા જણાવ્યું છે.
વેકેશન બાદ આ અંગે તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું
આરટીઇમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી દ્વારા વાલીઓએ ડોકયુમેન્ટ જમા કરાવ્યા છે. ડોકયુમેન્ટના આધારે વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ડોકયુમેન્ટની ખરાઇ કોરોનાના કારણે શકય બની ના હતી. તેથી હવે દિવાળી વેકેશન બાદ આ અંગે તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રિપોર્ટ આધાર પર પ્રવેશ રદ કરાશે
ઓનપેપર ગરીબ વાલી બનીને પ્રવેશ લીધો હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ શિક્ષણ વિભાગના સૂત્રોનાં જણાવ્યા મુજબ હજી સુધી એકેય શાળાએ ફરિયાદ કરી નથી. શાળાઓએ પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરશે તો તપાસ કમિટી બનાવીને તપાસ કરાશે અને તે રિપોર્ટ આધાર પર પ્રવેશ રદ કરાશે. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત વાલીઓએ રજૂ કરેલા ડોકયુમેન્ટને સાચા ગણી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.
બોગસ પૂરાવા રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોય તેના માટેની ચકાસણી કરવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી સમયમાં ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કોઇ વિદ્યાર્થીનો પ્રવેશ ખોટા ડોકયુમેન્ટના આધારે મેળવવામાં આવ્યો હશે તો તેવા કિસ્સામાં પ્રવેશ રદ કરવામાં આવશે.